સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરીમાં અરજદારો કે મુલાકાતીઓને હવેથી રજીસ્ટ્રેશન વગર પ્રવેશ મળશે નહીં. કલેકટર કચેરીમાં જવા માટે પ્રવેશદ્વાર પર રજીસ્ટ્રેશન કર્યા બાદ જ પ્રવેશ મળશે તેવી જિલ્લા કલેકટરે હુકમ કર્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે.
પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે તાજેતરમાં એક યુવકે જવનશીલ પ્રવાહી શરીર પર છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ જિલ્લા કલેકટર કચેરી હરકતમાં આવી ગઈ હતી. આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા કલેકટર કચેરીમાં પ્રવેશને કડક બનાવતા ફરજીયાત રજીસ્ટ્રેશન બાદ જ પ્રવેશ આપવાનો હુકમ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા તકેદારીના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય બાદ હવે કલેકટર કચેરીએ જતા અરજદાર કે મુલાકાતીઓને પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર અને સમય તથા કોને મળવા જવું છે તેવી વિગતોનું રજીસ્ટ્રેશન પ્રવેશદ્વાર પર રહેલા હોમગાર્ડ જવાનો પાસે કરાવવાનું રહેશે. રજીસ્ટરમાં નોંધ કરાવ્યા બાદ જ કલેકટર કચરીમાં પ્રવેશ અપાશે. જોકે, સલામતીની દૃષ્ટિએ લેવાયેલા આ નિર્ણયને લોકોએ આવકાર્યો હતો.