બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે સામાન્ય વરસાદ થયો છે. તેથી નવ તાલુકા સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યાં છે પરંતુ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમ શિયાળામાં ખાલીખમ થઇ જતાં પિયત માટે પાણી પણ અપાઇ શક્યું નથી. અધુરામાં પુરૂ સરકારની પાઇપલાઇન દ્વારા ડેમો ભરવાની યોજના નિષ્ફળ નિવડી છે. તેથી આગામી ઉનાળામાં પાણીની વિકરાળ સમસ્યા સર્જાવાની દહેશત વર્તાય છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસામાં નહીવત વરસાદ થયો છે. તેથી રાજ્ય સરકારે નવ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે ઘાસ સહાય શરૂ કરી છે પરંતુ ભર શિયાળે દાંતીવાડા ડેમમાં માત્ર ૯.૮૧ ટકા અને સીપુ ડેમમાં ૧૩ ટકા જ પાણી બચ્યું છે. તેથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાયું નથી. જેના કારણે ૭૦,૦૦૦ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થઇ ન શકતાં ચોમાસા બાદ શિયાળુ સિઝન પણ નિષ્ફળ નિવડી છે. ૨૦૧૦ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દર ચૂંટણીમાં ચમકતી પાણીની કાયમી બની ગયેલી સમસ્યાને ગંભીરતાથી લઇ કાંકરેજ તાલુકાના ચાંગાથી દાંતીવાડા અને સીપુ ડેમમાં પાઇપલાઇન મારફત પાણી નાખવાની રૂ. ૬૨૫ કરોડની મહત્વાકાંક્ષી યોજના બનાવી હતી. જેનું કામ
૨૦૧૪ માં પૂર્ણ થતાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ્દ હસ્તે પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવ્યું હતું પરંતુ ડેમમાં પાણી નાખવાના આ તાયફા બાદ આજ દીન સુધી ડેમમાં પાણી છોડાયું નથી.