પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં રાધનપુર તાલુકાના સાંથલી ગામના પિતા તેમની દીકરીને મળવા માટે આવ્યા હતા. જોકે, નારી સંરક્ષણ કેન્દ્રમાં દીકરી ન મળતા તેઓએ આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાંથલી ગામના ભાવસંગભાઇ મોમજીભાઇ ઠાકોરની બે દિકરીઓને અગાઉ ગામનો જ શખ્સ અપહરણ કરી ગયો હતો. આ અંગે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં એક દીકરી મળી આવી હતી. જોકે, તેનુ અપહરણ કરનાર શખ્સ ઝડપાયો ન હતો. જે પુત્રીને રાધનપુર પોલીસે પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકી હતી. જ્યાં ભાવસંગભાઇ તેણીને મળવા માટે આવતા હતા. પરંતુ દીકરી મળતી ન હતી. દરમિયાન મંગળવારે તેઓ પરિવાજનો સાથે પાલનપુર આવ્યા હતા. જ્યાં નારી સંરક્ષણ કેન્દ્રના સ્ટાફ દ્વારા તેમની દીકરી નારી સંરક્ષણ કેન્દ્રમાંથી ભાગી ગઇ હોવાનું કહેવામાં આવતાં ભાંગી પડેલા ભાવસંગભાઇએ જો દીકરી નહી મળે તો આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
જોકે, નારી સંરક્ષણ કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ સોનલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, રાધનપુર પોલીસ દ્વારા અપહરણના કેસમાં આ યુવતીને નારી સંરક્ષણ કેન્દ્રમાં મુકવામાં આવી હતી. જે પુખ્ત વયની હતી. તેણી જો મને મુકત કરવામાં નહી આવે તો નારી સંરક્ષણ કેન્દ્રમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાની લેખિત ચિમકી આપી હતી. આ અંગે તેણીના માતા- પિતા, પોલીસ તેમજ કોર્ટમાં જાણ કરી નિયમાનુસાર નારી સંરક્ષણ કેન્દ્રમાંથી મુક્ત કરવામાં આવી છે. મુક્ત થયા બાદ યુવતીની અમારી કોઇ જવાબદારી રહેતી નથી.