રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં ચેકબુક બારોબાર લઇ જઈ ત્રણ ચેક ભરી રૂ. ૨૭લાખની છેતરપિંડી આચરાઈ હોવાના કેસમાં એફ.એસ. એલ.ના રિપોર્ટને પગલે મોટો ઘટસ્ફોટ થવાની સાથે ટૂંક સમયમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું ટોક ઓફ ધી ટાઉન બન્યું છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના કહેવાતા જાગૃત ચોકીદારો ના રાજમાં લાખો રૂપિયાની ઉચાપત થઈ હતી. જેમાં ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટના સહીના નમૂના હતા તે એફએસ એલમાં મોકલાયા છે. જે એફ. એસ.એલ.નો રિપોર્ટ મોટો ઘટસ્ફોટ સર્જે અને મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ ચર્ચાના એરણે ચડી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં ભયમુક્ત બની ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોઈ ભાજપની ઈજ્જતના લીરેલીરા ઉડી રહ્યા હોવાની બુમરાણ મચી છે. સંગઠનના નિરંકુશને પગલે પાલિકાનો વહીવટ વગોવાઈ રહ્યો હોવાની રાવ વચ્ચે પાલિકાની ચેકબુક બેંકમાંથી બારોબાર મેળવી ચેક ભરી રૂ.૨૭ લાખના નાણાંની ઉચાપતની ઘટના પાલિકાના શાસકોના હાથમાં શહેર કેટલું સલામત છે? તે અંગે પણ અંગુલિનિર્દેશ કરી રહી છે.