ખાનગી યુનિવર્સિટીના વિધાર્થીઓને સરકારી એગ્રી.કોલેજમાં પ્રવેશ આપવાની માંગણીનો વિરોધ
આઇસીએઆરના ધારા ધોરણનો અમલ ન કરાતો હોવા છતાં પણ પ્રાઇવેટ યુનિવર્સિટીના વિધાર્થીઓએ સરકારી એગ્રીકલ્ચર કોલેજમાં અનુસ્નાતક કક્ષાએ પ્રવેશની માંગણી કરતાં જ સમસમી ઉઠેલા થરાદની સરકારી એગ્રીકલ્ચર કોલેજના વિધાર્થીઓએ સોમવારે વિરોધ પ્રદર્શિત કરી રેલી અને સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સરકાર દ્વારા આવા વિધાર્થી ઓને પ્રવેશતા અટકાવવામાં નહી આવેતો ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી આપવામાં આવી હતી.
તાજેતરમાં ધોળકામાં આવેલી રાય (ખાનગી) કૃષિ.યુનિના વિધાર્થીઓ દ્રારા અનુસ્નાતક કક્ષાની પ્રવેશ પરિક્ષા પ્રવેશ મેળવવા હાઇકોર્ટમાં જઇને સ્ટે લાવવામાં આવ્યો હતો. આથી રોષે ભરાયેલા થરાદની સરકારી એગ્રીકલ્ચર કોલેજના વિધાર્થીઓએ સોમવારે થરાદના મામલતદાર ને રેલી અને સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રાય યુનિ.સિવાય પણ ચાલતી ખાનગી કોલેજો અને યુનિ. તાત્કાલિક બંધ કરાવી સરકારી યુનિ.ના વિધાર્થીઓને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી હતી.