થરાદના દુધશીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ નજરે પડ્યો હતો. મૃતદેહ તણાઇને જતો રોડ પર અવરજવર કરતા વાહનચાલકો અને ખેડુતોને નજરે પડ્યો હતો.આથી આ અંગે થરાદ પોલીસને વાકેફ કરાઇ હતી.બીજી બાજુ અનેક ખેડુતો સહિત બહોળી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.અને તરતો જતો મૃતદેહ પોલીસે તરવૈયાની મદદથી બહાર કઢાવ્યો હતો.જોકે તે અજાણ્યો જણાતાં પોલીસે તેને સરકારી હોસ્પીટલમાં પી.એમ.માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ આ યુવક કોણ હશે તથા બનાવ અક્સ્માત,આત્મહત્યા કે હત્યાનો હશે તેને લઇને અનેક તર્કવિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા.મૃતક યુવકના કપડાં કોઇ શાળાના યુનીફોર્મ જેવાં લાગતાં તે શાળાનો વિધાર્થી હોવાનું અનુમાન પણ વ્યક્ત કરાયું હતું.