દિલ્હીમાં અત્યાર સુધી 34 મોત : આજે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ, પાડોશી રાજ્યોમાંથી આવેલા ઉપદ્રવી અને વોટ્સએપ ગ્રુપ તપાસના દાયરામાં
નવી દિલ્હીઃઉત્તર-પૂર્વ દિલ્હીમાં CAA અંગે થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા ગુરુવારે 34એ પહોંચી ગઈ છે. જ્યારે 250 કરતા વધારે લોકોની રાજધાનીના GTB અને LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહીંયાના જાફરાબાદ- મૌજપુર અને આસપાસના વિસ્તારોમાં 23,24 અને 25 ફેબ્રુઆરીએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થક અને વિરોધી જુથોમાં હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ઉપદ્રવીઓએ પથ્થરમારો, આગ લગાડવાનું અને ફાયરિંગ કર્યું હતું. જો કે, બુધવારે અને ગુરુવારે હિંસાની કોઈ ઘટના સામે આવી ન હતી. આ સાથે જ અમેરિકા અને રશિયાએ ભારતમાં રહેતા તેમના નાગરિકોને પણ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાથી બચવું જોઈએ.હિંસાના કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધી 18 FIR નોંધાવી છે અને 106 લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસની નજર પાડોશી રાજ્યોથી આવીને દિલ્હીમાં હિંસા કરનારાઓ પર છે. આ ઉપરાંત સેંકડો વોટ્સએપ ગ્રુપ અને વાઈરલ વીડિયો પણ ખંખેરવામાં આવી રહ્યા છે. રવિવારથી મંગળવાર સુધી થયેલી હિંસા દરમિયાન દિલ્હીની સરહદો ખુલ્લી હતી. ઉપદ્રવીઓના યુપીના રસ્તે રાજધાનીમાં ઘુસ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છેહિંસાગ્રસ્ત વિસ્તારોમાં આજે શાંતિ, પરંતુ દુકાનો બંધદિલ્હીના હિંસાગ્રસ્ત જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ગોકલુરી અને ભજનપુરા સહિત આસપાસના વિસ્તારોમાં ગુરુવારે શાંતિનો માહોલ છે. પોલીસ અને અર્ધસૈનિકબળોના જવાન શેરીઓમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં દુકાનો બંધ છે અને રસ્તા સુમસામ છે. આવા માહોલમાં લોકો ઘરોમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. તો બીજી બાજુ ફાયર સર્વિસને બુધવારે રાતથી ગુરુવાર સવાર સુધી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં આગ લાગી હોવાના 10 ફોન આવ્યા હતા. 100 ફાયરકર્મીઓ સાથે વરિષ્ઠ અધિકારી આગ બુઝાવવામાં લાગી ગયા છે.પોસ્ટમાર્ટમમાં મોડું, પરિવારજનો લાશ માટે રાહ જોઈ રહ્યા છેસાથે જ લોકોને હિંસામાં માર્યા ગયેલા પરિવારજનોની લાશ લેવા માટે રાહ જોવી પડી રહી છે. પોલીસ-પ્રશાસનનું કહેવું છે કે પોસ્ટમાર્ટમ બાદ જ બોડી આપવામાં આવશે, ત્યાં સુધી રાહ જુઓ. આ મામલામાં GTB હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેટ સુનીલ કુમારે કહ્યું કે, ‘પોસ્ટમાર્ટમ કરવા માટે બોર્ડની રચના કરવાની જવાબદારી દિલ્હી પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ પર છે. અમે 4 પોસ્ટમાર્ટમ કર્યા છે. આશા છે કે ઝડપથી આના માટે બોર્ડ બનાવવામાં આવશે’ આ કેસમાં વકીલ મહમૂદ પારચાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ આ અંગે શુક્રવારે સુનાવણી કરશે.મોદીએ હિંસાના 3 દિવસ બાદ શાંતિની અપીલ કરીઆ પહેલા હિંસાના 3 દિવસ પછી બુધવારે વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ-ભાઈચારાની અપીલ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાને તહેનાત કરવામાં આવે. NSA અજીત ડોભાલે સતત બીજા દિવસે હિંસાગ્રસ્ત સીલમપુર અને મૌજપુરની મુલાકાત કરી હતી. અહીંયા કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં લોકો સાથે વાતચીત કરીને તેમને સુરક્ષાનો વિશ્વાસ આપ્યો હતો. આ પહેલા મોદી કેબિનેટની મિટિંગ પણ થઈ હતી.