પાલનપુર : પાલનપુર હાઇવે પર રહેતી એક અસ્થિર મગજની મહિલાને ગર્ભવતી બનાવી તેના કુખે અવતરેલા બાળકોની તસ્કરી થતી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે બનાસકાંઠા પોલીસે ૨ તપાસ ટિમો અમદાવાદ રવાના કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જોકે, પોલીસે માનસિક વિકલાંગ મહિલા સાથે સામુહિક દુષ્કર્મ બાદ અવતરેલા બાળકોની તસ્કરીના આક્ષેપોને નકારી દીધા હતા. પાલનપુરના ડીસા હાઇવે પર એક માનસિક વિકલાંગ મહિલા રહેતી હતી. સ્થાનિક લોકો સાથે વાતચીતમાં આ મહિલાનું નામ શાંતિ હોવાનું જાણવા મળ્યું છે. જે વર્ષોથી અહીં રહેતી હતી. જોકે, તે ત્રણ વખત ગર્ભવતી થઈ હતી. દરેક વખતે તે પ્રેગ્નેન્સીના છેલ્લા સમયમાં જ ગાયબ થઈ જતી હતી. ત્યાર બાદ થોડા સમય બાદ તે પાછી આવી જતી હતી. જોકે, તે પરત ફરતી ત્યારે તેની પાસે તેનું બાળક જોવા મળતું નહીં. એટલે કોઈ ચોક્કસ અસામાજિક તત્વોની ગેંગ આની પાછળ જવાબદાર હોય અને તે ગેંગ તેના બાળકોને વેચી મારતી હોય તેવી આશંકા સ્થાનિક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
દરમિયાન, પાલનપુર સાયન્સ કોલેજના પ્રોફેસર કે.સી.પટેલે જણાવ્યું હતું કે, મહિલા ત્રણ વખત પ્રેગ્નેટ થઈ હતી. અને ત્રણે વખત તેના બાળકો ગાયબ હતા. જોકે, આ વખતે તેની હાલત ગંભીર જણાતા પ્રોફેસરે ૧૮૧ અભિયમની મદદથી બાયડના જયઅંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમ ખાતે ખસેડી હતી. જ્યાંથી તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ છે.
આમ, ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણની ગુલબાંગો વચ્ચે માનસિક વિકલાંગ મહિલાઓ પણ સુરક્ષિત રહી નથી.