કેન્દ્રીય ચૂંટણીપંચે 21 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જ્યારે આજે વધુ બે બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરે 6 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે, જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ સાંસદ બનતા હસમુખ પટેલે અમરાઈવાડી બેઠક પરથી અને ભરતસિંહ ડાભીએ ખેરાલુ બેઠક પરથી જ્યારે થરાદ બેઠક પરથી પરબત પટેલે રાજીનામાં આપ્યા હતા. ઉપરાંત બાયડ અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેથી આ બંને બેઠક પર પેટાચૂંટણી યોજાશે.