મહેસાણા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મહેસાણામાં ભાજપના કાર્યકરો દ્વારા વાલ્મિકી વાસમાં જઈને સફાઈ કરીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.મહેસાણા શહેર ભાજપના અગ્રણીઓને વિચાર આવ્યો કે વાલ્મિકી સમાજના માણસો આખા શહેરને સ્વચ્છ રાખે છે,તો ભાજપના કાર્યકર્તા વાલ્મિકી વાસમાં જઈને સફાઈ કરે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી સાચા અર્થમાં સફળ થશે,અને કાર્યકરોએ વાલ્મિકી વાસમાં જઈને સફાઈ કરી.આ પ્રસંગે મહેસાણા શહેરમાં અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓ દ્વારા લાડુનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૬૯માં જન્મદિન નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું,જયારે સ્કૂલોમાં જળ બચાવો તથા પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરો એ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.બાળકોને ચોકલેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શહેરના તમામ ૧૧ વોર્ડની સ્કૂલોમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. પાલિકાના કોર્પોરેટરો અને નગરજનો દ્વારા પરા તળાવમાં જળબચાવો અભિયાન અંતર્ગત જલપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ સોલંકી પણ જોડાયા હતા. વોર્ડ નં.૯ માં બાળકો અને શહેરીજનો દ્વારા કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.