ગત વર્ષે અતિવૃષ્ટિનો ભોગ બનેલા બનાસકાંઠાના ખેડૂતોને પુરપ્રકોપના પગલે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોએ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનો આવકાર્ય નિર્ણય કરી ગત વર્ષે લાંભ પાંચમના શુભ દિવસથી જ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેતાં માત્ર બનાસકાંઠા જ નહીં, ગુજરાતભરના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે હવે વિપક્ષ કોંગ્રેસે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં ગેરરીતિઓ આચરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતોને ઉશ્કેરવાની ચેષ્ટા આદરી હોવાના દાવા સાથે બનાસકાંઠાના સરહદી વાવ,સુઇગામ અને ભાભર તાલુકાના ખેડૂત અગ્રણીઓએ આજે સામુહિક રીતે સુઇગામની નાયબ કલેકટર કચેરીએ ધસી જઇ ખેડૂતોના નામે ખોટા આક્ષેપો કરી ઉશ્કેરણી કરતા કોંગ્રેસ અગ્રણીઓ સામે જ પગલાં લેવાની માંગણી કરતા કોંગ્રેસની પોલ ખુલી ગઈ છે.બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડના કોંગ્રેસના આક્ષેપોને પોકળ ગણાવી આ મામલે ખુદ ખેડૂતો જ સામે આવતાં કોંગ્રેસના દાવાઓની હવા નીકળી ગઈ છે.ગત વર્ષની વાત કરીએ તો એકલા બનાસકાંઠા જિલ્લામાં જ ૧,૨૩,૯૯૪ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું અને જિલ્લાના મહેનતકશ ખેડૂતોએ કુલ બે લાખ ૬૫ હજાર મેટ્રિક ટન મગફળીનું બમ્પર ઉત્પાદન કર્યું હતું.