૫ાલનપુર : બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મનસ્વી રીતે વહિવટ ચલાવતાં હોવાના તેમજ ડિરેકટરોની મંજુરી વગર ઠરાવો કરતાં હોવાના આક્ષેપો સાથે નવ ડિરેકટરોએ અવિશ્વાસની દરખાસ્ત કરતાં સહકારી માળખામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેને લઈ શુક્રવારે ચેરમેને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ ધરી દીધું હતું.
બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મેઘરાજભાઇ પટેલ વિરૂધ્ધ નવ ડિરેકટરોએ અવિશ્વાસની દરખાસ્ત કરતાં ચકચાર મચી જવા પામી હતી. ડિરેકટરોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે,ચેરમેન દ્વારા મનસ્વી પણે વહીવટ અને ડિરેકટર ની મંજૂરી વગર ઠરાવો કરવામાં આવે છે. આ ઉપરાંત પગાર વધારો, ખાતરમાં ખોટા હવાલા તેમજ ગાડીનો પણ દૂરપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કુલ ૧૮ ડિરેકટરો પૈકી અમે નવ ડિરેકટરોએ તેમના વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.જેને લઈ શુક્રવારે ચેરમેને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ ધરી દીધું હતું.