ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે અવસાન થયું છે. મંગળવારે રાત્રે પોણા 10 વાગે તેમની તબિયત બગડતા એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયા હતા. પાંચ ડૉક્ટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી. એઈમ્સમાં દાખલ થયા પહેલા આશરે ત્રણ કલાક પહેલા તેમણે કલમ 370 અંગે ટ્વિટ કરી હતી કે, પ્રધાનમંત્રીજી, તમને હાર્દિક અભિનંદન. હું જીવનમાં આ જ દિવસની રાહ જોતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નીતીન ગડકરી, હર્ષવર્ધન સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ મોડી રાત્રે એઈમ્સ પહોંચી ગયા હતા. આશરે એક વર્ષ પહેલા તેમણે એઈમ્સમાં કિડનીનું પ્રત્યારોપણ કરાવ્યું હતું. ત્યાર પછી તેમણે આરોગ્યના કારણસર ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. આજે બપોરે લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવશે.મોડી રાતે તેમના પાર્થિવ દેહને જંતર-મંતર પર આવેલા તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. અત્યારે સુષમા સ્વરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો છે. 12 વાગે પાર્ટી કાર્યાલય પર અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે. બપોરે 3 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મામલે આજે સાંજે સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રીજી, તમારા હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી.