અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને આ સાથે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ભારે પવન સાથે ત્રાટકેલું વાવાઝોડું બંને જીલ્લામાં આફતરૂપી બની રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦ થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા હતા ભિલોડાના લાલપુર ગામે મકાન ધરાશાયી થતા મામાના ઘરે દાવલી ગામમાંથી આવેલ ૫ વર્ષીય રણવીર લાલાભાઇ ખાંટ નામનો બાળક સહીત ૭ લોકો કાટમાળ દટાતા રણવીરનું મોત નીપજ્યું હતું આજુબાજુથી દોડી આવેલા લોકોએ કાટમાળ નીચે દટાયેલા ૬ લોકોને બહાર કાઢી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
ભિલોડામાં આભ ફાટ્યું હોય તેમ રાત્રીના સુમારે બે કલાકમાં ૭ ઇંચ વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ભિલોડાને જોડાતા માર્ગો પર ઝાડ ધરાશાયી તમામ માર્ગો બંધ થઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો તંત્રએ રોડ પરથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વીજપુરવઠો ખોરવાયો હતો. હાથમતી, બુઢેલી અને ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા અને કાચા-પાકા મકાનો અને ઝાડ ઠેર ઠેર પડી જતા અને નવરાત્રી મહોત્સવમાં મંડપ અને ખાણી પીણીના સ્ટોલ જમીન દોસ્ત થયા હતા. ર્હોડિંગ્સ બોર્ડ પણ તૂટી પડ્યા હતા.