થરાદ : થરાદના દોલતપુરા ગામમાં કરવામાં આવેલાં વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટર અને તેમના મળતીયાઓ દ્વારા ગેરરિતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કેટલાક ગ્રામજનોએ કર્યો હતો. આ બાબતે એક નાગરીકે આરટીઆઇ એક્ટ હેઠળ માહિતી માંગતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદારને સંતોષકારક માહિતી આપવાની ગ્રામ પંચાયતને તાકીદ પણ કરવામાં આવી છે. આ બનાવથી ચકચાર મચવા પામી છે.
થરાદના દોલતપુરાના નાગરીક દલાભાઈ ધુમડા સહિત ગ્રામજનોએ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે દોઢ વર્ષથી તેમની ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટી ફરકતા નથી. જેના કારણે ગ્રામ પંચાયતના મકાનને ખંભાતી તાળું લટકી રહ્યું છે અને વિદ્યાર્થીઓ અને ગામના અન્ય અરજદારોને દાખલા કઢાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તદુપરાંત ગામમાં વપરાતી સરકારની ગ્રાન્ટોનો દુરુપયોગ પણ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં સો ટકા સૌચાલય ન હોવા છતાં પણ તેનાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે. જ્યારે ગામનો પ્રવેશવાનો મુખ્ય પ્રવેશદ્વાર ઊબડખાબડ છે. તે ગામમાં વાપરવાની ગ્રાન્ટ અન્ય રીતે વાપરીને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જેમકે પ્લોટ વિસ્તારમાં પાઇપલાઇન એક ફૂટ ના ઉંડા અંતરે જ નાખવામાં આવી છે. તેમાં પણ ચારથી પાંચ જગ્યાએ ડામર રોડ તોડવામાં આવ્યો છે. ગામની શાળાનો ચાર મહિના પહેલા બનાવવામાં આવેલો વરંડો સામાન્ય વરસાદમાં દબાઈ જવા પામ્યો છે. નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થવા પામ્યો છે. પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થવા પામ્યો છે. ગામમાં નાખેલા બ્લોક રેત ના બદલે માટીથી ફિટ કરવામાં આવ્યા છે .આ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તેમણે દોઢ મહિના પહેલા આરટીઆઇ કરવા છતાં પણ આજ સુધી તેમને કોઈપણ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવતી નથી. જ્યારે ગામના સુથાર રામજીભાઈએ જણાવ્યું હતું કે પાઇપ લાઇન નાખવામાં આવી છે. તેની નિભાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. ત્યારે તેમના ગામમાં નવીન પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે. શોભાના ગાંઠિયા જેવી છેલ્લા ચાર-પાંચ વર્ષથી બની રહી છે. આ પાણીના ટાંકી માં પાણી નાખવામાં આવતું નથી. વળી ગામની ઉંચાણવાળા વિસ્તારમાં રહેતા ગ્રામજનોને પીવાનું પાણી પૂરું મળતું નથી .બીજી બાજુ આ ટાંકી માંથી પ્લોટ વિસ્તારમાં બીજી બે લાઈનો જાય છે જે મોટા વ્યાસ વાળી રાખવામાં આવેલી છે તેના કારણે તેમને પાણી વધારે મળે છે. વળી ગામને પાદરે પરિવારો વસવાટ કરતા હોવા છતાં પણ ભૂગર્ભ ગટર લાઈન બનાવવામાં આવેલી ન હોવાના કારણે તેમનું પાણી રોડના વચ્ચે રેલાતુ હોય છે. ગામના પ્રવેશદ્વારે ખાબોચીયું ભરાઇને પડ્યુ રહે છે.આથી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા ની જાગૃતિ માટે શૌચ કુવો કે ભૂગર્ભ ગટર લાઈન બનાવી આપવામાં આવે તે પણ ગામના આરોગ્ય માટે જરૂરી છે
ગ્રામ પંચાયતના સદસ્ય મગનભાઈ સવજીભાઈ ભીલે જણાવ્યું હતું કે તે ગ્રામ પંચાયતના ત્રીજા વોર્ડમાં સભ્ય તરીકે ચુંટાયેલા છે. તેમના ધ્યાનમાં આવ્યા મુજબ ૨૦૧૮ના વર્ષથી ગામમાં કોઈપણ મીટીંગ કરવામાં આવી નથી.કે ઠરાવમાં સહી પણ લેવામાં આવતી નથી. વળી કોઈ ગ્રામસભા પણ ભરવામાં આવી નથી. જ્યારે તલાટી પણ ત્રણ-ચાર મહિનાથી ગામમાં આવ્યા ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ અંગે વધુમાં ગામના ભેમજીભાઇ રામદાસભાઈ નામના યુવકે જણાવ્યું હતું કે તેમના ગામમાં એક પણ શૌચાલય બનાવી આપવામાં આવ્યું નથી. ૧૦૦% શૌચાલય ના જે બોર્ડ મારવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે.વાસ્તવિકતાતો એ છે કે શૌચાલય ના અભાવે પોતાના અને ગામના દરેક ગ્રામજનોના પરિવારોને ખુલ્લામાં ફરજિયાત શૌચ કરવા જવાની ફરજ પડી રહી છે. આથી સો ટકાની વાત તદ્દન ખોટી છે .જવાબદારો દ્રારા ગ્રાન્ટ તદ્દન હડપી લેવામાં આવી છે. ગામમાં જે પણ લોકોને શૌચાલયો છે તે તેમના સ્વખર્ચે બનાવવામાં આવ્યા છે.
આ બાબતે રૂપસીભાઈ નામના ગ્રામજને પણ જણાવ્યું હતું કે તેમના ગામમાં કોઇ શૌચાલય બનાવવામાં આવ્યાં નથી. આથી ન છૂટકે ગ્રામજનો ને ખુલ્લામાં જવાની ફરજ પડી રહી છે. વળી તેમણે ક્યારેય પણ ગ્રામ પંચાયત ના સરપંચ ને તલાટીને હમણાંથી હાજર જોયા નથી આથી કામગીરી માટે લોકોને છે થરાદ સુધી ધક્કા ખાવા જવું પડે છે આ અંગે દોલતપુરા ગ્રામ પંચાયતના સદસ્ય સેંગલ હીરાભાઈ મોનાભાઈએ ગ્રામજનોના તમામ આક્ષેપોનો છેદ ઉડાડતાં જણાવ્યું હતું કે તેઓ કાયમી સરપંચ તલાટી ને ગામ માં હાજર જોવે છે. તેઓ હાજર હોય છે .અહીંયા ત્રણ મહિને ગ્રામસભા પણ ભરાય છે .થરાદમાં ભરાતી નથી.ગ્રામજનો તથા સદસ્યો ને તેની જાણ પણ કરવામાં આવે છે જો કે તેઓ ન આવતા હોય તો તેમની બાબત છે. જ્યારે ગામમાં પાઇપલાઇન સીસી રોડ વરંડો, પાઇપલાઇન જેવાં વિકાસ કામો ઠરાવ કરીને કરવામાં આવ્યા છે. અને ગામના પ્રવેશદ્વારે રોડ જેવા જે કામ બાકી છે તેની રજૂઆત પણ કરવામાં આવી છે ટૂંક સમયમાં તે પણ થઈ જશે.