થરાદ ખાતે નાયબ મામલતદાર સહિત ત્રણ મકાનોને નિશાન બનાવી સાડા ચાર લાખની ચોરી થયા બાદ તસ્કરોએ ગઇરાત્રે ફરી ચોરીની ઘટનાને અંજામ આપી થરાદ પોલીસને તમતમતો તમાચો માર્યો છે.ગઇરાત્રે ફરી થરાદમાં તરખાટ મચાવનાર તસ્કરોએ થરાદ હાઇવે પર વિનાયક બેગ્લોજમાં ઉપર નીચેના બે મકાનોને નિશાન બનાવ્યા હતા.આ તસ્કરો
ભોંય તળીયે આવેલા શિક્ષકના રહેણાંક મકાનમાંથી ચોરી કરી ગયા છે.આ મકાનમાં રહેતા શિક્ષકના પરિવારજનો વતન અમદાવાદ ગયેલ હોઈ રાત્રીના સમયે તસ્કરો આ મકાનમાં ત્રાટકયા હતા. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ થરાદના ત્રણ મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી.બાહોશીના બણગાં ફૂંકતી થરાદ પોલીસ ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલે તે પૂર્વે જ તસ્કરોએ વધુ બે મકાનોને નિશાન બનાવી થરાદ પોલિસ સામે ખૂલ્લો પડકાર ફેંક્યો છે ત્યારે સ્થાનિક પોલિસ હવે પોતાની આબરૂ બચાવવા માટે પણ તસ્કર ટોળકીને ઝડપી લઈ યોગ્ય નશયત કરે તેવી માંગ ઉઠી રહી છે.