માનવ અને વન્યપ્રાણીઓનાં સહઅસ્તિત્વની આ કહાની રસપ્રદ છે. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કાળા ડુંગર પર રોજ મંદિરનો ઘંટ વાગે એટલે શિયાળ પ્રસાદ લેવા આવી જાય છે. કહેવાય છે કે, આ પરંપરા અંદાજિત છેલ્લી ચાર સદીઓથી ચાલે છે.
કાળા ડુંગર પર દત્તાત્રેય મંદિરમાં આરતી પછી રોજ બે વખત (એક વખત બપોરે 12 વાગ્યે અને બીજી વખત સાંજે 6 વાગ્યે) ગોળ અને ઘી મિશ્રિત ભાત એક ઓટલા પર મૂકવામાં આવે છે. આ ઓટલાને "લોંગ ઓટલો" કહેવામાં આવે છે. પ્રસાદ લઇ જનાર વ્યક્તિ લો અંગ, લો અંગનો સાદ પાડે છે, મંદિરનો ઘંટ વાગે છે અને આજુબાજુના ઝાડી ઝાંખરામાંથી શિયાળીયાઓ ત્યાં તરત જ આવી જાય છે અને ઓટલા પર મૂકવામાં આવેલા પ્રસાદને આરોગી જાય છે. આ રોજનો નિત્યક્રમ છે.
મંદિરના ટ્રસ્ટી હિરાલાલ રાજદેએ કહ્યું કે, 'આ પરંપરા પાછળ એક કહાની છે. વર્ષો પહેલા ભગવાન દત્તાત્રેય અહીંથી પસાર થયા હતા અને આ દરમિયાન કોઇ માલધારીના ગાયો લૂંટી ગયો હતો. તેમણે આ ગાયોને બચાવીને માલધારીઓને પાછી અપાવી અને આ કાળા ડૂંગર રોકાયા હતા અને ત્યાં સાધના કરી હતી. તેઓ તેમના આશ્રમમાં ભૂખ્યા લોકોને જમાડતા. એક વખતે ભૂખ્યુ શિયાળ ત્યાં આવ્યું અને તેના ખાવા આપવા માટે તેમની પાસે કશું વધ્યું નહોતું એટલે તેમણે તેમનો હાથ કાપીને શિયાળને આપ્યો પણ શિયાળે તે આરોગ્યો નહીં અને પાછું ચાલ્યું ગયું. શિયાળમાં પણ આ સંસ્કારને યાદ કરીને તેમજ શિયાળ દત્તાત્રેયનું વાહન ગણાતું હોય આજે પણ શિયાળને પ્રસાદ આપવામાં આવે છે. આજે પણ શિયાળ ત્યાં આવે છે.