પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના નામે ડામ આપવાના વધુ એક બનાવમા બાળકી મોતને ભેટી છે. ત્યારે ૧૦ દિવસ મા ૨ બાળકોના મોતને લઈ તંત્રએ તપાસના આદેશ કર્યા છે અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠામા આજે પણ લોકો બીમારી ટાણે અંધશ્રધ્ધાના નામે ભુવા ભોપાળા અને દોરા-તાવીજનો સહારો લઈ રહ્યા છે. જેની પ્રતીતિ કરાવતો બીજો બનાવ સામે આવ્યો છે. જેમાં નાના બાળકો બીમાર પડે ત્યારે ડામ આપવામાં આવે છે. ત્યારે લાખણી તાલુકાના ગણતા ગામે ૭ માસની બાળકી ચમકી જવાથી તેને ડામ અપાયા હતા. જે બાળકીની તબિયત લથડતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જોકે, છેલ્લા ૧૦ દિવસમાં ડામ આપવાથી ૨ બાળકોના મોત નીપજતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર બી.એ.શાહે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. અને તપાસને અંતે કસુરવારો સામે જસ્ટિસ જુવેનાઈલ એક્ટ સહિતના જરૂરી કાયદાકીય પગલાં ભરવાની ખાત્રી આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં મહિનામાં ૨૦ થી વધુ આવા કેસ આવે છે. ત્યારે તંત્ર દ્વારા હવે ગ્રામસભા, આરોગ્ય વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી લોક જાગૃતિ કેળવવાનો પણ પ્રયાસ કરાશે તેવું ઇન્ચાર્જ જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું.