પાંચ દિવસ અગાઉ હિંમતનગર રેલ્વે સ્ટ્રેશન સંકુલનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યા બાદ રેલ્વે મંત્રાલયે ગત સોમવારે અમદાવાદ - હિંમતનગર ડેમૂ ટ્રેન શરૂ કરવા લીલીઝંડી આપી દેતા હિંમતનગરથી ટ્રેન દોડવાનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે અને એકાદ સપ્તાહ અથવા 2 જી ઓક્ટોબરે હિંમતનગર - અમદાવાદ રેલ્વેટ્રેક પર ટ્રેન દોડતી જોવા મળવાની પૂરેપૂરી સંભાવના છે.
31 ડીસેમ્બર 2016 ના રોજ હિંમતનગરથી - અમદાવાદ છેલ્લી ટ્રેન ગયા બાદ પોણા ત્રણ વર્ષ બાદ ગેજ પરીવર્તન અંતે હિંમતનગર - અમદાવાદ રેલ સુવિધા શરૂ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. રેલ્વેના સીવીલ અને ટેકનીકલ વિભાગના અધિકારીઓના છેલ્લા પાંચ માસમાં બબ્બે ઇન્સ્પેક્શન બાદ અસારવા - અમદાવાદથી હિંમતનગર બ્રોડગેજ રેલ્વે ટ્રેકનું કામ સંતોષપૂર્ણ હોવાનો રીપોર્ટ થતા ગત તા. 13/09/19 ના રોજ હિંમતનગર રેલ્વેસ્ટ્રેશન બિલ્ડીંગ અને પરીસરનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ અને તેની સમાંતર હિંમતનગર- અમદાવાદ વચ્ચે આવતા રેલ્વે સ્ટેશન પણ ખૂલ્લા મૂકાયા હતા.તે સમયે સા.કાં. સાંસદ દીપસિંહ રાઠોડે ચાર થી દસ દિવસમાં રેલ્વે મંત્રાલયની મંજૂરી મળી જતા ટૂંક સમયમાં રેલ્વે શરૂ કરવાની જાહેરાત કરી હતી.
દરમિયાનમાં રેલમંત્રાલયની મંજૂરી મળી જતાં રેલ્વેના ઇ.ડી.કોચીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા તા.17/09/19 ના રોજ વેસ્ટર્ન રેલ્વેને જાણ કરવામાં આવી હતી કે અસારવા- હિંમતનગર સેવા એક્સપ્રેસના નામે અઠવાડીયામાં 6 દિવસ ડેમૂ ટ્રેન શરૂ કરવાની છે અને શોર્ટ નોટીસમાં ટ્રેન શરૂ કરવા સ્ટાફ સહિતની તૈયારીઓ પૂર્ણ કરી લેવી. રેલ્વે સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા. 27/09/19 સુધીમાં અથવા 2 જી ઓક્ટોબરે રેલ સેવા શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે.