શુક્રવારે 12મા ધોરણમાં ભણતી એક ગેંગરેપ પીડિતાએ કાનપુરની પાંડુ નદીના પુલ પરથી છલાંગ લગાવી દીધી. રાહદારીઓ અને સ્થાનિક લોકો કંઇ સમજી શકે તે પહેલા તો તે કૂદી ગઇ હતી. લોકોએ પોલીસ અને વિદ્યાર્થિનીના પરિવારજનોને આ વાતની સૂચના આપી. કેટલાક લોકોએ નદીમાં કૂદીને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીનું વહેણ ઝડપી હોવાને કારણે તેનો કોઇ પત્તો લાગ્યો નહીં. 24 કલાક પછી શનિવારે મરજીવાઓ છોકરીનું શબ શોધવામાં સફળ રહ્યા. હકીકતમાં છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જેનાથી તેને ખૂબ આઘાત લાગ્યો હતો અને આખરે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.
જાલૌન જિલ્લામાં રહેતા રોડવેઝ કર્મચારીની દીકરી સાથે ગામમાં જ રહેતા નીરજ યાદવ અને ગોપાલ યાદવે ગેંગરેપ કર્યો હતો.
ગઇ 9 ઓગસ્ટે રોડવેઝ કર્મચારી બીમાર પત્નીને ડોક્ટરને બતાવવા માટે કાનપુર આવ્યો હતો. દીકરી ઘરે એકલી હતી. તેનો ફાયદો ઉઠાવીને ગોપાલ અને નીરજ છત મારફતે ઘરમાં ઘૂસ્યા અને સૂઇ રહેલી વિદ્યાર્થિનીને પકડી અને બંનેએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું.
છોકરીની ચીસોનો અવાજ સાંભળીને જ્યારે પાડોશીઓ ત્યાં પહોંચ્યા તો બંને ભાગી નીકળ્યા. વિદ્યાર્થિનીને ગંભીર હાલતમાં ઝાંસીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં 4 દિવસ સુધી તેનો ઇલાજ ચાલ્યો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે બદનામીના કારણે ગત 13 ઓગસ્ટે દીકરીને લઇને કાનપુર આવી ગયો. અહીંયા મારો ભાઈ રહે છે. દીકરી આત્મગ્લાનિ અનુભવી રહી હતી. ઘટના પછી તે માનસિક રીતે સંપૂર્ણપણ તૂટી ગઇ હતી. તે પોતાને અંધારા રૂમમાં આખો દિવસ કેદ રાખતી હતી. તેને અજવાળાથી ડર લાગવા લાગ્યો હતો.
અમે તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે ખૂબ ગુમસુમ રહેવા લાગી હતી. શુક્રવારે સવારે ખબર નહીં તે ક્યારે ઘરની બહાર નીકળી ગઇ.
પિતાએ જણાવ્યું કે દીકરીને કાનપુર લઇને ન આવત તો તે લોકો અમારા આખા પરિવારને ખતમ કરી નાખત. દરરોજ અમને ધમકી મળી રહી હતી. દીકરી પણ કહેતી હતી કે પપ્પા હું ગામ નહીં જઉં, બધા લોકો મને ગંદી નજરથી જોશે.
બર્રા ઇન્સ્પેક્ટર રવિ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થિની ખૂબ આઘાતમાં હતી જેના કારણે તેણે પુલ પરથી છલાંગ લગાવી દીધી. શુક્રવારે મરજીવાઓને નદીમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેની લાશ શોધી શકાઇ ન હતી. શનિવારે તેનું શબ મળી આવ્યું હતું.