પાલનપુર તાલુકાના વાસણા(જ) ગામમાં ગત તા. ૧૦/૧૧/૨૦૧૮ના રોજ એકજ સમાજના પંદરથી વીસ જેટલા યુવકો એ ગામમાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા તેજાજી રાજપૂત અને તેઓના પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તેઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસમાં ફરિયાદ આપવા ગયેલ પીડિત સાથે પોલીસે અસભ્ય વર્તન કરવા સાથે ધમકાવતા વાસણા ગામના રાજપૂત સમાજના આગેવાનોએ પોલીસ વિરુદ્ધ જિલ્લા પોલીસ અધિકારીને બુધવારે આવેદનપત્ર આપી ન્યાય માગ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાસણા (જ) ગામમાં ચાર દિવસ પૂર્વે ચૌધરી અને રાજપૂત સમાજ વચ્ચે કોઈ અગમ્ય કારણો સર મારામારી થઈ હતી.જેમાં ચૌધરી સમાજના યુવકો દ્રારા ગામના તેજાજી હેદુજી રાજપૂત અને તેમના પુત્ર ગુલાબજી ઉપર જીવલેણ હુમલો કરી તીક્ષ્ણ હથિયારો થી હુમલો કર્યો હતો. જે બાદ પીડિત દ્રારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા ગયા હતા. જ્યો ફરજ પરના પોલીસ કર્મી આરોપીઓની જ્ઞાતીના હોઈ ફરિયાદીને ધમકાવી ફરિયાદ સાંજ સુધી નોંધી ન હતી અને બાદમાં મનઘડત ફરિયાદ નોંધી અમો ચૌધરી સમાજની છેક ગાંધીનગર સુધી પહોંચ છે. તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ અરજદારે કરી જિલ્લા પોલીસ વડાને આવેદન આપી આ પોલીસ કર્મીઓની બદલી કરી ફરિયાદની તટસ્થ તપાસની માંગ કરી હતી.