પાલી: એક 20 વર્ષના છોકરાએ એક નાટકીય ઘટનાક્રમ પછી પોતાની જાતને સંપૂર્ણ છોકરી હોવાનો દાવો કર્યો છે. જોકે તે છોકરો છે કે છોકરી તે વિશે હાલ મેડિકલ ટેસ્ટ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આવું કેમ થયું તેનો ખુલાસો પણ મેડિકલ ટેસ્ટ પછી જ કરી શકાશે. જોકે આ દરમિયાન ગામની અમુક મહિલાઓએ જણાવ્યું કે, અમે તપાસ કરી છે અને તેના પ્રાઈવેટ પાર્ટ પણ છોકરી જેવા જ છે. આ ઘટના પછી તેના ઘરની બહાર પૂજા-અર્ચના અને જગરાતા કરવામાં આવી રહ્યા છે. અચાનક છોકરામાંથી છોકરી બનેલો ભીખારામ હવે પોતાની જાતને સાધ્વી માયા ગણાવી રહ્યો છે. ભીખારામ બેંગલુરૂમાં કામ કરતો હતો. તે 16 સપ્ટેમ્બરે જ ગામડે આવ્યો હતો. આ જ દિવસે તે પરિવાર અને મિત્રોના નામે જળમાધિનો મેસેજ છોડીને ઘર બહાર નીકળી ગયો હતો. ભીખારામનું કહેવું છે કે, તે ગામના જ કૂવામાં કૂદી ગયો હતો. ભાન આવ્યું ત્યારે તે કૂવાની બહાર હતો અને સંપૂર્ણ રીતે છોકરી બની ગયો હતો.
રાજપુરા ગામમાં રહેતો 20 વર્ષનો યુવક 20 દિવસ પહેલાં જ બેંગલુરૂથી પરત આવ્યો હતો. પાછો આવતાં જ તેણે પરિવાર અને મિત્રોને જળસમાધિ લઈ રહ્યો છે તેવી વાત કરીને ઘર છોડીને નીકળી ગયો હતો. મંગળવારે સવારે તે પાછો આવ્યો અને કહ્યું કે, તે કૂવામાં પડ્યો હતો, ભાન આવ્યું ત્યારે બહાર પડ્યો હતો. હવે તે છોકરી બની ગયો છે. તેણે પરિવારજનો પાસે મહિલાના કપડાં માગ્યા તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
યુવકે જળસમાધિ લેવાના નામે ઘર છોડતા પહેલાં એક મેસેજમાં લખ્યું હતું કે, તેઓ જાગરણનો કાર્યક્રમ સ્થગિત ન કરે. તે સંપૂર્ણ ભાનમાં છે. મારી જળસમાધિને આત્મહત્યા ન ગણાવતા. હું ભગવાન શિવને પૂછીશ કે મારી સાથે આવું કેમ કર્યું?
ભીખારામે હવે પોતાનું નામ સાધ્વી માયા રાખી દીધું છે. તેણે માટીનું શિવલિંગ બનાવીને પૂજા શરૂ કરી છે. અંધવિશ્વાસ અને આશ્ચર્યના કારણે તેના ઘરની બહાર ગામના લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે. ભીખારામે દાવો કર્યો છે કે, તે પહેલેથી શિવભક્ત છે. ઈશ્વરના આદેશથી હવે તે બાકીનું જીવન છોકરી બનીને જ પસાર કરશે.
ભીખારામે 11માં સુધી અભ્યાસ કર્યો. ત્યારપછી તે બેંગલુરૂ કામ કરવા જતો રહ્યો હતો. તે અંદાજે અહીં 5 વર્ષથી કામ કરતો હતો. ત્યાં તેના શેઠ ઓમારામે દાવો કર્યો હતો કે, અહીં તે સામાન્ય છોકરાઓની જેમ જ કામ કરતો હતો. આ દરમિયાન તેમણે કદી તેનામાં પરિવર્તન નથી જોયું.