શંખેશ્વર તાલુકામાં શિયાળું પાક લેવા નર્મદા કેનાલ અને રૂપેણ નદીમાં પાણી છોડવા વારંવાર રજૂઆત કરવા છતાંય પાણી નહિ મળતા છેવટે નદી કાંઠાના ગામોના લોકોએ ભારે હૈયે પરિવારનું ગુજરાન ચલાવવા ઘરબાર, જમીન છોડી હિજરત કરવાનું શરુ કરી દીધું છે.
શંખેશ્વર તાલુકાના તારા નગર, રતનપુરા, મંકોડિયા, જહુરપુરા, પીરોજપુરા સહિત ગામોમાંથી લોકો હિજરત કરી મજૂરી કરવા બહાર શહેરોમાં જવા લાગ્યા રૂપેણ નદીકાંઠાના તારાનગરમાંથી ૩૦૦થી વધારે, રતનપુરા માંથી ૧૦૦ જેટલા, જહુરપુરા, મંકોડિયા સહિતના ગામોમાંથી પણ અનેક લોકોએ ધાંગધ્રા, ગાંધીધામ, અમદાવાદ, કાઠિયાવાડ તરફ હિજરત શરૂ કરવા લાગ્યા છે. હજુ પણ પાણી નહીં આવે તો અન્ય કેટલાય લોકો હિજરતની તૈયારી કરી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. મંકોડીયા ગામના નવઘણજી ઠાકોરે જણાવ્યું કે પાણી માટે મંત્રી દિલીપભાઈ ઠાકોરને પણ રજૂઆત કરી છે. સરકારી તંત્રને પણ કરીને થાકયા. હજુ સુધી કેનાલ કે નદીમાં પાણી નથી આવ્યા તેથી લોકોને ગામ છોડવાનો વારો આવ્યો છે. રતનપુરના રામસંગજી ઠાકોરે જણાવ્યું કે સરકાર અછતગ્રસ્ત તાલુકો જાહેર કર્યો પણ પાણી અપાતું નથી. લોકો મજૂરી કરવા બહાર જવા લાગ્યા છે. ખાવું શું ઢોર જેવી માણસની દશા થઈ છે.