બનાસકાંઠામાં બાળ સખા યોજનામાં આચરાયેલ ગેરરીતિઓનો પર્દાફાશ
ડીસા
રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી નવજાત બાળકોને બચાવવાની “બાળ સખા યોજના - ૩” માં ડીસા સહિત જિલ્લાના ડોક્ટરોએ આચરેલ ગેરરીતીની તપાસ દરમિયાન ડીસાના ૩ ડોક્ટરોએ બાળકોના પરિવારજનો પાસેથી સારવારના રૂપિયા વસુલ્યા બાદ પણ સરકાર સમક્ષ બાકી બિલ મુક્યું હોવાનું પુરવાર થયું છે. જેથી તાત્કાલિક અસરથી આ ત્રણેય ડોક્ટરોને યોજનામાંથી હટાવી દીધા છે.
રાજ્યમાં કુપોષણના કારણે નવજાત બાળકોનો મૃત્યુ દર ચિંતાજનક હદે વધી ગયો હતો. તેથી સંવેદનશીલ રાજ્ય સરકારે નવજાત બાળકોને બચાવવા“બાળ સખા યોજના - ૩” ગત સપ્ટેમ્બર માસથી અમલી બનાવી છે. જેમાં દોઢ કિલોથી ઓછા વજનવાળા જન્મના બાળકોની ખાનગી દવાખાને થતી રૂ.૪૯,૦૦૦ સુધીની સારવારનો ખર્ચ સરકાર ભોગવે છે. જેમાં સરકારે જિલ્લાના નિષ્ણાંત ખાનગી બાળરોગના ડોક્ટરોને સામેલ કર્યા છે. પરંતુ આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના નવજાત બાળકને ફાયદારૂપ બનવાને બદલે સાચા અર્થમાં ડોક્ટરોને ફાયદારૂપ નિવડી છે. ભગવાનનું રૂપ ગણાતા ડોક્ટરો બાળકો માટે આશિર્વાદરૂપ આ યોજનામાં પણ “ભય વગરનો ભ્રષ્ટાચાર” આચરી સરકારના નાણાં હડપવા લાગ્યા હતા. જે બાબતે ડીસાના એક જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી. જેથી જીલ્લા કલેક્ટરે સંદીપ સાંગલે આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા વિકાસ અધિકારી પી.એચ.શાહને તપાસ સુપ્રત કરી હતી.