સુરતઃ લીંબાયતની ત્રણ વર્ષ અને સાત મહિનાની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલાં આરોપી અનિલ યાદવને 31 જુલાઈના રોજ એડિશન સેશન્સ જજ પી.એસ. કાલાની કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો સુરતનો પહેલો રેપ વિથ મર્ડર કેસમાં ફાંસીનો ચુકાદો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે.
સમગ્ર કેસની વિગત એવી છે કે, લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે.