હૈદરાબાદઃ તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિઝમાં પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટ્યું હતું. પૂછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં ચારેયના મોત થયા હતા. હૈદરાબાદમાં ૨૭ નવેમ્બરે ટુ-વ્હીલરનું ટાયર પંચર થતા ટોલ પ્લાઝા પાસે રાહ જોઈ રહેલી ૨૬ વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી. ડોક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમના નામ મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ હતું. આરિફની ઉમર ૨૬ વર્ષ હતી, જ્યારે અન્ય આરોપીઓની ઉંમર ૨૦ વર્ષ હતી. આ તમામ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર હતા, જેમણે દારૂ પીધા બાદ ૭ કલાક સુધી ડોક્ટર સાથે આ કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ પીડિતને શાદનગરના બહારના વિસ્તારમાં સળગાવી દીધી હતી. ચારેય આરોપીઓને કોર્ટે ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા.