શ્રાવણીપુનમ નિમિત્તે યાત્રાધામ બહુચરાજી અને શંખલપુરમાં બહુચર માતાએ લોકમેળો ભરાયો

 શ્રાવણીપુનમ નિમિત્તે યાત્રાધામ બહુચરાજી અને શંખલપુરમાં બહુચર માતાએ લોકમેળો ભરાયો
 
 
ચાણસ્મા
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી અને શંખલપુર ગામે ગતરોજ શ્રાવણ સુદ પૂર્ણિમા નિમિત્તે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના મંદિરેભવ્ય લોકમેળો ભરાયો હતો અને મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. દિવસ દરમિયાન હજારો માઈ ભક્તોએ માતાજીની પાસે શીશ ઝુકાવી ધન્યતાની લાગણી અનુભવી હતી.
યાત્રાધામ બહુચરાજી ખાતે બરાજમાન બહુચર માતાજીના મંદિરે ગતરોજ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ માઈ મંદિર બોલ માડી બહુચર જય જય બહુચરના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. અનેક સંઘોએ માતાજીના મંદિરે ધજાઓ ચડાવી હતી. દર્શનપથથી લઈને માતાજીના મંદિર ગર્ભગૃહ સુધી લાંબી લાંબી કતારો લાગી હતી. જેમાં ઉભા રહીને માતાજીના દર્શન કરવાની ધન્યતા સાથે શ્રદ્ધાળુઓએ શ્રીફળ-ચુંદડી અને સાકરનો પ્રસાદ અર્પણ કર્યો હતો. પૂર્ણિમા નિમિત્તે માતાજીને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. રાત્રે માતાજીના નીજમંદિરથી પરંપરાગત પાલખી નીકળી હતી. પરિક્રમા કરી પરત મંદિરે આવી હતી. પાલખીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા.
જ્યારે બહુચર માતાજીના અદ્યસ્થાનક શંખલપુર ગામે પણ વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભારે ભીડ જામી હતી. પૂનમ નિમિત્તે માતાજીને નયનરમ્ય શણગાર તેમજ અન્નકૂટ મહાપ્રસાદ ધરાવાયો હતો. ગામના સદ્‌ગૃહસ્થ તરફથી માઈમંદિરે ધજા અર્પણ કરાઈ હતી. ટોડા બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.