અમીરગઢ : પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીનાર આજની નવી પેઢીને કુવાના તળના પાણી પી લોકો ૧૦૦ વર્ષ સુધી કેવી રીતે જીવ્યા હશે એ કદાચ પાઠ્યપુસ્તકમાંથી જ જાણવા મળ્યું હશે પરંતુ બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં આજે પણ લોકો ઊંડા કુવા ખોદી લાંબા રસ્સાથી પાણી ખેંચી તરસ છૂપાવવા પરસેવો પાડી રહ્યા છે.હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજ્ય ભરમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થતા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. બીજી તરફ પાણીના તળ ઊંડા જતા પાણી વગર ખેતી કરવી પણ હવે મુશ્કેલ બની રહી છે ત્યારે પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવા સરકાર પણ પૂરતા પ્રયાસ કરી છે. જોકે પાણીના સંકટ સમયે સરકાર પાસે કોઈ અપેક્ષા રાખ્યા વગર જાત મહેનત કરી કુવા ખોદી તરસ છીપાવતા આદિવાસી પરિવારો નવો રાહ ચીંધી રહ્યા છે.
બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ જેવા ડુંગરાળ વિસ્તારમાં પાણી પહોચાડવુ સરકાર માટે પણ મુશ્કેલ છે ત્યારે જંગલ વિસ્તારના આદિવાસી પરિવારોએ જાત મહેનત કરી પથ્થર તોડી પીવાનું પાણી કાઢવામાં સફળતા મેળવી છે.છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જતા આદિવાસી લોકોએ પથ્થર તોડી ખૂબ મહેનત અને પરસેવો પાડી પાણીના સ્ત્રોત ઉભા કરી દીધા છે.જિલ્લા ભરમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે આદિવાસી લોકો જાત મહેનત કરી પથ્થરમાંથી પાણી મેળવી રહ્યા છે.હાલ અન્ય વિસ્તારના લોકોપાણીનો દૂરૂપયોગ કરી પાણી વેડફી રહ્યા છે.આવા લોકો કેમરામાં કેદ થયેલા કૂવાના દ્રશ્યો એકવાર જોઈ પાણી માટે આદિવાસી પરિવારોને પથ્થર તોડવામાં કેટલી યાતના સહન કરવી પડે છે તે નજરે જોવે તો તેમને પણ પાણીની કિંમત સમજાશે. અમીરગઢના રાજસ્થાનની સરહદે આવેલા ખારા, ઉપલા ખારા, ઉપલોબંધ જેવા ગામોમાં ભૂતકાળમાં પણ કૂવા બનાવેલ હતા પરંતુ પાણીના તળ ઉંડા જતા હાલ આ કૂવા કોરાધાકોર થઈ ગયા છે.ત્યારે આ વિસ્તારના લોકો હવે જુના કૂવા ઊંડા કરી પાણી મેળવવા હાલ ખરા તાપમાં આકરી મહેનત કરી પરસેવો પાડી રહ્યા છે.આ મથામણમાં મહિલાઓ પણ બાળકો સાથે મહેનત કરી રહી છે.આ વિસ્તાર ડુંગરાળ હોઇ કૂવા ખોદવામાં ખૂબ તકલીફ પડે છે. જમીનમાં ઊંડે સુધી માત્ર પથ્થર જ હોઈ કૂવા ખોદવામાં મુશ્કેલી પડે છે.આખા દિવસ દરમ્યાન માત્ર ૨ ફૂટ જેટલું જ ખોદકામ કરી શકાય છે.પાણી માટે કૂવા ઊંડા કરવામાં હજુ ઘણી મહેનત કરવી પડે તેમ હોવા છતાં આ પરિવારો થાક્યા વગર તેમની મહેનતને આગળ ધપાવી રહ્યા છે.બનાસકાંઠાની રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢના ખારા, ઉપલા ખારા, ઉપલાબંધ જેવા ગામડાઓમાં આ વર્ષે પાણીની સમસ્યા વધુ વકરી રહી છે.ગત ચોમાસામાં ઓછો વરસાદ થતાં આ વિસ્તારમાં કૂવા પણ સુકાઈ ગયા છે.અગાઉ આ વિસ્તારના લોકો કૂવાના પાણીથી ખેતી તેમજ પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવતા હતા.પરંતુ આ વર્ષે ઉનાળા ની શરૂઆતમાં જ કૂવામાં પણ પાણી ખૂટી જતા પાણી માટે વલખા મારી રહેલા આ આદિવાસી લોકોએ હવે સરકારના ભરોસે બેસી રહેવાના બદલે જાત મહેનત આદરી જુના કૂવા ઊંડા કરી પાણી મેળવવા પુરૂષાર્થ આદર્યો છે.