બહુચરાજી- ચાણસ્મા વાયા આદિવાડા સીંગલ પટ્ટી રોડ ઉપર ઠેરઠેર ધોવાણ થઈ જતાં તેમજ શંખલપુર, આદિવાડા અને ડોડીવાડા ગામના મુખ્ય પ્રવેશદ્વાર આગળ સ્થાનિક લોકોના ગેરકાયદેસર દબાણોના કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. પાટણ ચાણસ્મા અને યાત્રાધામ બહુચરાજી અને શંખલપુરને જાડતો આ ટુંકા અંતરનો એક મહત્વનો માર્ગ છે. પરંતુ શંખલપુરથી ડોડીવાડા અને આદિવાડા વચ્ચેના આશરે ૮ કિ.મી.ના સીંગલ પટ્ટી રોડ ઉપર વરસાદના કારણે ધોવાણ થતાં રોડની હાલ મગરના પીઠ જેવી બની ગઈ છે.રોડ ઉપર ડામરનું નામોનિશાન નથી. રોડની સાઈડોનું મરામત કામ ન થવાને કારણે ભારે વાહનોને સાઈડ લેવામાં ભારે મુશ્કેલી પડે છે.
આ રૂટ ઉપરના શંખલપુર, ડોડીવાડા અને આદિવાડાના બસસ્ટેન્ડ ઉપર સ્થાનિક રહીશોના કાચા અને પાકા દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. બસસ્ટેન્ડ ઉપર પારાવાર ગંદકી અને ગંદુ પાણી ઢોળવામાં આવતાં લોકોનુ આરોગ્ય જાખમમાં મુકાયુ છે. ચોમાસુ વીતી ગયુ હોવા છતાં રીપેરીંગ કામકાજ માટે ઠાગાઠૈયા કરવામાં આવે છે.મહેસાણા અને પાટણ જિલ્લાને જાડતા અને યાત્રાધામ બહુચરાજી જવાના રોડ ઉપરથી પસાર થતી બસના ચાલક પણ ભારે સમસ્યા વેઠી રહ્યા છે. એસ.ટી. તંત્ર દ્વારા આ રૂટ પરના ગામોની ગ્રામ પંચાયતને રીપેરીંગ માટેની તાકીદ કરવામાં આવી છે. પરંતુ તેનુ આજદિન સુધી કોઈ જ પરિણામ મળ્યું નથી. આ રોડને ડબલ પેવર રોડ કરવા
તેમજ તેના રીપેરીંગ માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવતાં રોડની બંને સાઈડે મેટલ, કપચી અને રેતના ઢગલા ખડકાયા છે. હવે તંત્ર રોડ રીપેરીંગ માટે શુભ ચોઘડીયાની રાહ જુએ છે.