મુડેઠા ગામે આજે ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયેલી અશ્વદોડે ભારે આકર્ષણ જમાવ્યું હતું.આ અશ્વદોડને નિહાળવા દુર દુરથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે ગામના દરબાર અને રાજપૂત સમાજના લોકોએ તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજનો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોર ખાતે વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા.આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી પોતાની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે દીકરી ચોથબાને નાથ બાબજી નામના સંતને સોંપી દીધી હતી.અને ચોથબાને મોગલોની નજરથી બચાવી આ સંત ચોરીછુપીથી ઝાલોરથી રવાના થઇ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમર લાયક થતા પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે તેમના લગ્ન નક્કી કરાયા હતા.પરંતુ ચોથબાને અહીંયા કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઇ પેપળુ નજીક આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ ચોથબાના ભાઈ બની કન્યાદાન કરવા આગળ આવ્યા હતા. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાતવાસો કરી ભાઈબીજના દિવસે મુડેઠા ગામે પરત ફરતા હતા.તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા જે બખ્તર આજે પણ હયાત છે. અને આ પરંપરાને પણ મુડેઠાના રાઠોડ ભાઈઓ સાડા સાતસો વર્ષથી જાળવી રહ્યા છે. પોતાની પરંપરા સાચવવા માટે જાણીતા રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા પેપળું ગામે જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુડેઠા આવી ઉત્સાહમાં પટ્ટા ખેલી હડીલા ગાય છે. ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરાય છે.લગભગ ૩૦૦થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા સાતસો પંચાવન વર્ષથી યોજાતી અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા દુર દુરથી મોટી જનમેદની ઉમટી પડે છે.