અમદાવાદ: સેટેલાઈટ રામદેવનગર વાલ્મીકિવાસમાં રહેતા બે યુવાનો વચ્ચે મકાનની લોનના પૈસા બાબતે ચાલી રહેલો ઝઘડો બુધવારે રાતે ઉગ્ર બનતા બંનેના પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. એક પરિવારના સભ્યોએ છરી - ચપ્પા વડે હુમલો કરતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું અને 3 જણાં ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
સામે પક્ષે હત્યારા યુવાનની પત્નીએ એક યુવાન ઉપર છેડતીનો આરોપ લગાવાયો હતો. વાલ્મીકિવાસમાં રહેતા મિલન વાઘેલા એક આર્કિટેકની ઓફિસમાં નોકરી કરતો હતો. આર્કિટેકે લાંભામાં આદિત્ય એસોસિએશન નામની મકાનની સ્કીમ મૂકી હતી. સ્કીમમાં મિલનની પડોશમાં અગાઉ રહેતા અમિતે 15.50 લાખમાં મકાન ખરીદ્યું હતું. જેમાં અમુક પૈસા રોકડા અને બાકીની લોન કરી હતી. જેના રૂ.1.50 લાખ ચૂકવવાના બાકી હતા.
બુધવારે રાતે અમિતે અજાણ્યા નંબરથી મિલનને ફોન કરીને પૈસા નહીં માંગવા ધમકી આપી હતી. અમિતની માતા મંજુલાબહેન મિલનના ઘરે ઝઘડો કરવા આવી હતી અને ફરિયાદ કરવા સેટેલાઈટ પોલીસ સ્ટેશન જવાનું કહીને નીકળ્યાં હતાં.રસ્તામાં રામદેવનગર ચાર રસ્તા પાસે અમિત તેમજ તેના સંબંધી પરેશ ચૌહાણ, ધવલ ઉર્ફે કલ્પેશ ચૌહાણ અને નિલેશ ચૌહાણ છરી ચપ્પા લઇને આવ્યા હતા. તેમણે મિલન, યશ, મિતેશ વાઘેલા, ભૂપેન્દ્ર વાઘેલા અને અજય વાઘેલા ઉપર હુમલો કર્યો હતો. જેમાં છરીનો ઘા વાગવાથી યશનું મોત નિપજ્યું હતું. જ્યારે મિલન, મિતેશ, ભૂપેન્દ્ર અને અજય ઇજાગ્રસ્ત થયા હતા.