નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ પર ગયા વગર જ માત્ર ૫૯ મિનિટમાં લોન મળી જશે. આ પ્લેટફોર્મ પર રૂ. એક કરોડ સુધીની લોન મળશે.
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા બેન્કની બ્રાન્ચ પર જવું પડશે નહીં. બેન્ક લોનના પૈસા તમારા એકાઉન્ટમાં સીધા ક્રેડિટ થઇ જશે.
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર એમએસએમઇની સુવિધા માટે નવી મોબાઇલ એપ જનધન દર્શક એપ લોન્ચ થઇ છે અને આ એપ દ્વારા બેન્ક ગ્રાહકો સમગ્ર દેશમાં કોઇ પણ બેન્ક બ્રાન્ચનું સરનામું જોઇ શકશે અને તેના એટીએમની પણ માહિતી ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત તેમાં આઇએફએસસી કોડની પણ જાણકારી હશે.
જન ધન દર્શક એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. આ એપના ઉપયોગ માટે થ્રી જી ઇન્ટરનેટની જરૂર પડશે. આ એપ ૨,૦૫,૫૦૭ એટીએમ, ૧,૫૩,૫૬૦ બેન્ક શાખા અને ૧,૫૧,૨૩૧ પોસ્ટ ઓફિસ અંગે જાણકારી ઉપલબ્ધ કરશે.