મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે. ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ 138 મીટરથી પણ વધુની સપાટીએ પહોંચતા મહોત્સવ ઉજવવાનું જાહેર કર્યું છે. ગુજરાતમાં 1000થી વધુ સ્થળોએ મહાનગરો તથા જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તાના ગુણગાન કરતો નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવાશે. જેમાં સ્થાનિક નાગરિકોથી લઇને સાધુ-સંતો, સામાજિક સેવા સંસ્થાઓ પણ સહભાગી થશે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયામાં ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.