પાટણ
અમદાવાદ પશ્ચિમના સાંસદ અને વીર મેઘમાયા સ્મારક સમિતિના અધ્યક્ષશ્રી કિરીટભાઇ સોલંકીએ આજે પાટણ ખાતે વીર મેઘમાયા સ્મારક, માયા ટેકરીની મુલાકાત લીધી હતી. વીર મેઘમાયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંસદ સાથે સંગઠ્ઠનના પ્રભારી મયંક નાયક, જિલ્લા સગઠ્ઠન પ્રમુખ મોહનભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ અને વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધ્વર્યુ, જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. સાંસદ કિરીટભાઇ સોલંકીને વીર મેઘમાયા સ્મારક એન્ડ રિસર્ચ સેન્ટર-પાટણના અધ્યક્ષ બનાવતાં તેમજ ર્ડા. બી.સી.રોય એવોર્ડ અને શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળતાં દલિત સમાજના આગેવાનોએ સાંસદનું સાફો અને વીર મેઘમાયાની છબી આપી સન્માન કર્યું હતું. રાજય સરકાર દ્વારા વીર મેઘમાયા સ્મારકના વિકાસ માટે પહેલા ચરણમાં રૂ. ૧.૯૬ કરોડની ગ્રાન્ટ ફાળવી કામગીરી પુર્ણ કરવામાં આવી છે. બીજા ચરણમાંરાજય સરકાર દ્વારા રૂ. ૩ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. સાંસદ કિરીટભાઇ સોલંકીએ રાણીની વાવ પાસે પસાર થતી પાટણ-ભીલડી રેલ્વે લાઇન પર અંડર બ્રીજ બનાવવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ અને વિકાસ બોર્ડના સચિવશ્રી કિરીટ અધ્વર્યુએ વીર મેઘમાયા સ્મારક ના રૂ. ૩ કરોડના વિકાસના કામો એક વર્ષમાં પુર્ણ કરવાની ખાત્રી આપી હતી. સાંસદે મંદિરના પ્રાંગણમાં માયા ટેકરીના મેઘમાયાના મંદિરના નવીનીકરણ માટે દલિત સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે રમેશભાઇ સોલંકી, તરુણભાઇ, ધીરજભાઇ, વિઠ્ઠલભાઇ, સ્મારક સમિતિના સભ્યો, વીર માયાના સેવકો અને મોટી સંખ્યામાં દલિત સમાજના સભ્યો ઉપસ્થિત રહયા હતા. નવા સર્કીટ હાઉસ ખાતે સાંસદ કિરીટભાઇ સોલંકીએ રેલ્વે અધિકારીઓ અને જિલ્લા અધિકારીઓ સાથે પાટણ-ભીલડી રેલ્વે લાઇન ચાલુ કરવા ચર્ચા કરવામાં આવી હતી. રેલ્વે અધિકારીએ પાટણ-ભીલડી રેલ્વે લાઇનની કામગીરી ટુંક સમયમાં પુર્ણ કરી ચાલુ કરવામાં આવશે તેની ખાત્રી આપી હતી. પાટણ શહેરના અગ્રણીઓ સાથે બેઠક કરી પાટણ શહેરના વિકાસના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.