કાંકરેજના રાણકપુર કેનાલમાંથી બુધવારે અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેને નગરપાલિકાની કચરા પેટીની ગાડીમાં રેફરલમાં પીએમ માટે લવાતા લોકો અચરજમાં પડી ગયા હતા. લાશ કચરાગાડીમાં મૂકીને માનવતા ચૂકેલી પોલીસની લોકોમાં ટીકા થતાં બચાવમાં બીજું કોઇ વાહન મળ્યું નહીં તેમ જણાવ્યું હતું.
કાંકરેજ તાલુકાના રાણકપુર ગામેથી પસાર થતી મુખ્ય કેનાલમાં 30 વર્ષના યુવકની લાશ પાણીના પ્રવાહમાં બુધવારે તરતી હતી. જે સાયફન જોડે અટકી ગઇ હતી. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતાં થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ થરા નગરપાલિકાને આ બાબતે જાણ કરાઇ હતી.
ઘટના સ્થળે થરા પોલીસ સ્ટાફના પ્રકાશભાઈ, શૈલેશભાઇ પહોંચીને ચાંગાના તરવૈયા દિનેશભાઇ પટેલને બોલાવી લાશને પાણીમાંથી બહાર કાઢી થરા રેફરલ ખાતે થરા નગરપાલિકાનાની કચરા પેટીના વાહનમાં લાવવામાં આવી હતી. આમ મૃતક યુવકની લાશ કચરા પેટીની ગાડીમાં લવાતાં લોકોમાં અચરજ ફેલાઇ હતી. મૃતક યુવકએ લાલ કલરનું શર્ટ તેમજ વાદળી કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું. જેના વાલી વારસદારોની ઓળખ થઇ ના હતી. જેની હાલ થરા પોલિસ સ્ટેશન ખાતે નોંધ કરી લાશની ઓળખાણ માટે થરા પોલીસે તપાસ હાથ ધરી હતી.