ગુજરાતમાં કોરોના વાઈરસના વધુ ૩ કેસ નોંધાતા રાજ્યમાં કુલ ૫ પોઝિટિવ કેસ
કોરોના
ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે ૨ હતી તે એક દિવસમાં જ અઢીગણી વધીને આજે ૫ થઈ ગઈ છે. અમદાવાદની ૨ મહિલા અને વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય કમિશનર સુશ્રી જયંતિ રવિએ જણાવ્યું છે કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી.
અમદાવાદના પોઝિટિવ કેસની બન્ને મહિલાઓ પશ્ચિમ અમદાવાદની છે. એક ન્યુયોર્ક અને એક મહિલા ફિનલેન્ડથી આવી હતી અને મુંબઇ થઇ ફ્લાઈટમાં અમદાવાદ પહોંચી હતી. ન્યૂયોર્કથી આવેલી મહિલા ૧૪ માર્ચે આવી હતી. ૩ દિવસ ઘરે રહ્યાં બાદ ૧૭મીએ જીફઁમાં દાખલ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી મહિલા અમદાવાદ ૧૩મી માર્ચે આવી હતી અને ૧૬મી માર્ચે જીફઁમાં દાખલ કરવામાં આવી છે.
અમદાવાદના યુવતી કે જે ૧૪ માર્ચના રોજ ન્યૂયોર્કથી વાયા મુંબઈ ફ્લાઈટમાં આવી હતી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ફિનલેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ પણ આજે સવારે પોઝિટિવ આવ્યો છે. જ્યારે સ્પેનથી વડોદરા આવેલા યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૫ થઈ ચૂકી છે. જો કે, આ તમામ દર્દીઓની વય ૩૫ વર્ષથી ઓછી છે. આ તમામને જે-તે જિલ્લામાં ખાસ ઉભા કરાયેલા આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પણ અત્યારે તેઓ આઈસોલેશન વોર્ડમાં છે અને બધાની હાલત સ્થિર છે.
કોરોનાના ઈલાજ અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હૂ) અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ આ પાંચેય પોઝિટિવ દર્દીના પરિવારજનોને ફરજિયાત ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે. રાજ્ય સરકારે કરેલી અલાયદી વ્યવસ્થામાં આ તમામ પરિવારજનોને હાલ ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું જણાવતા જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, પરિવારજનોની હાલત પણ સ્થિર છે. તેઓ કેટલા લોકોના સક્રિય સંપર્કમાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને જરૂર જણાશે તો વધુ લોકોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં રખાશે.
આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૫૦ કોરોના શંકાસ્પદોના સેમ્પલ એકત્ર કરીને પૂણે સ્થિત એનઆઈવીને મોકલી અપાયા છે. આમાંથી ૫ સેમ્પલ ટ્રિપલ ટ્રાયલમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૨૩ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૨૨ સેમ્પલમાં હજી પણ શંકા જણાઈ હોવાથી તેના પરિણામો પેન્ડિંગ છે. અમદાવાદ સિવિલના દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, કોરોનાના સેમ્પલ કલેક્ટ કરીને ટેસ્ટિંગ માટે મોકલાય તેમાં ૩ પ્રકારની ગૂંચવણ ઊભી થાય છે. કેટલાક સેમ્પલ અનિર્ણાયક આવે છે એટલે કે તે પોઝિટિવ પણ નથી અને નેગેટિવ પણ નથી હોતા. પરંતુ રિસેમ્પલ એનઆઈવીને મોકલાય છે, જ્યારે કેટલાક ફોલ્સ પોઝિટિવ પણ આવે છે.
અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે આવેલા ૫૫૯ ટ્રાવેલર્સમાંથી ૬૩ની સ્થિતિ શંકાસ્પદ જણાતા તેમને ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ ક્વોરેન્ટાઈનમાં રખાયા હોવાનું જયંતિ રવિએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આમાંથી ૪૯૨ ટ્રાવેલર્સને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે એટલે તેમણે તેમના ઘરે આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ છતાં દરરોજે ૨થી ૫ લોકો હોમ ક્વોરેન્ટાઈનનો સરેરાશ ભંગ કરતા હોવાનું જણાયું છે. આવા લોકોને પછી ધરપકડ કરીને ફરજિયાત ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જવાય છે. હજી પણ વધુ લોકોને ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઈનમાં લઈ જઈ શકાય છે તેવી તેમણે શક્યતા દર્શાવી હતી.
ભારત અને ખાસકરીને ગુજરાત રાજ્ય કોરોના સંક્રમણના હાલ ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ગુજરાત સરકાર કોરોનાના શંકાસ્પદ દર્દીઓને બે પ્રકારની ક્વોરેન્ટાઈન સુવિધા ઓફર કરી રહી છે. આમાં પે એન્ડ યુઝ ક્વોરેન્ટાઈન અને બીજી હોસ્ટેલ પ્રકારની ક્વોરેન્ટાઈન સુવિધા છે. આ માટે દર્દીને તમામ પ્રકારની સુવિધાઓ અપાય છે. જો કે, આરોગ્ય કમિશનરે ઉમેર્યું હતું કે, તમામ ટ્રાવેલર્સને હાથ પર સ્ટેમ્પ લગાવીને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે જેથી કોરોનાનો ચેપ પ્રસરે નહીં.
ગુજરાતમાં ૫ પોઝિટિવ કેસ |
- અમદાવાદ-૨
- વડોદરા-૧
- રાજકોટ-૧
- સુરત-૧
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાચવેતીના ભાગરૂપે કેટલાક પગલા હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર ૩૧ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને ૩૧ માર્ચ સુધી બંધ