દાંતીવાડા : બનાસકાંઠામાં શુક્રવારે દિવસ દરમ્યાન કોઈ સ્થળે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા નથી. પરંતુ ગુરુવારે દાંતા, દિયોદર, લાખણી અને ધાનેરા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પુર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શુક્રવારે સવારે છ વાગ્યે પુરા થયેલા ૨૪ કલાક દરમ્યાન બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાં ૦૫, કાંકરેજમાં ૧૧, ડીસામાં ૦૩, થરાદમાં ૦૨, દાંતામાં સૌથી વધુ ૮૭ મિલિમિટર, દાંતીવાડામાં ૦૩, દિયોદરમાં ૨૩, ધાનેરામાં ૨૪, પાલનપુરમાં સૌથી વધુ ૧૮, ભાભરમાં ૧૦, લાખણીમાં ૪૫, વડગામમાં ૦૩, વાવમાં ૧૧ તેમજ સુઇગામમાં ૦૫ મિલિમિટર જેટલો વરસાદ નોંધાયો હતો. દરમ્યાન ઉપરવાસમાં વરસાદના પગલે બનાસકાંઠાના દાંતીવાડા જળાશયમાં પણ નવા નીરની આવકમાં વધારો નોંધાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે શુકવારે સાંજે ચાર વાગ્યે દાંતીવાડા ડેમમાં ૧૦૭૪ ક્યુસેક પાણીની આવક સામે દાંતીવાડા ડેમની જળ સપાટી ૫૬૭.૪૫ ફૂટ નોંધાઇ છે. જ્યારે સિપુ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે અને આજે સાંજે ચાર વાગ્યે સિપુ ડેમની જળ સપાટી ૫૮૨.૨૮ ફૂટ નોંધાઇ છે. એજ રીતે મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક બંધ છે અને આજે સાંજે ચાર વાગ્યે મુક્તેશ્વર ડેમની જળ સપાટી ૬૨૯.૦૦ ફૂટ નોંધાઇ છે.