ધાનેરા તાલુકામાં વિકલાંગ બાળકોના નામે આર્થિક ઉચાપત થતી હોવાના આક્ષેપોના પગલે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઊંડી તપાસની ખાતરી આપી છે.
ધાનેરા ખાતેના બીઆરસી ભવનમાં અઠવાડિયામાં ચાર દિવસ દિવ્યાંગ બાળકોને તાલીમ આપવા માટે દર વર્ષે ૬૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે. જોકે આ કેન્દ્રને વર્ષમાં માત્ર એક જ દિવસ ખોલી ગ્રાન્ટની રકમ ચાઉ થતી હોવાનો ધાનેરાના સેવાભાવી દિવ્યાંગ હરનાથભાઈએ તાજેતરમાં જ ચોંકાવનારો આક્ષેપ કરી દિવ્યાંગ બાળકોને ન્યાય અપાવવા માટે શિક્ષણ વિભાગ પાસેથી માહિતી માંગી છે. જો કે આજે ધાનેરા તાલુકાના નવા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. ગુર્જરે આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા દિવ્યાંગ બાળકોને સરકારી યોજનાઓનો લાભ મળવાનો આશાવાદ ઉજળો બન્યો છે.શિક્ષણ વિભાગ દવારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે અલગ વ્યવસ્થા ઉભી કરાઇ છે. દરેક તાલુકા મથકો ખાતે આવેલ બીઆરસી ભવનોમાં દિવ્યાંગ બાળકો માટે બ્લોક રિસોર્સ રૂમ બનાવી દર સપ્તાહે ચાર દિવસ દિવ્યાંગ બાળકોને યોગ્ય તાલીમ આપવાની વ્યવસ્થા કરાઈ છે.દિવ્યાંગ બાળકો પણ અન્ય બાળકોની જેમ નીડરતા પૂર્વક અભ્યાસ કરે તે માટે આઈડી શિક્ષકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ પણ કરાવાતી હોય છે.સાથે સાથે લાભાર્થી બાળકોને નાસ્તો તેમજ બાળકના માતા-પિતાને પોતાના ગામથી તાલુકા મથક સુધી આવવા જવાનું મુસાફરી ભથ્થુ પણ સરકાર દવારા ચુકવાય છે. ત્યારે ધાનેરા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે સરકારની યોજનાઓનો પરિણામલક્ષી અમલ કરવા ધાનેરાના નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ધાનેરા તાલુકા ૩૦ જેટલા બાળકો શારીરિક કે માનસિક ક્ષતિ ધરાવે છે.ત્યારે આ બાળકોને બીઆરસી ભવનમાં યોગ્ય તાલિમ અપાય છે કે કેમ તે બાબતે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવાની પણ તેમણે ખાતરી આપી હતી.