કુણઘેર : ગતરોજ ૧૫ મી ઓગસ્ટ ૭૩ મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેશવ પ્રકૃતિ કેન્દ્ર ખાતે ૨૫ વૃક્ષો જેવા કે પીપળો, વડ, ઉંબરો, પીંપળ, જામફળી, જાંબુડો વગેરે દેશીકુળના વૃક્ષો વાવી ભારતની આઝાદી માટે બલિદાન આપનાર લાખો શહીદવીરો અને સ્વતંત્રતા સેનાનીઓને વિરાંજલી આપીને ઉજવવામાં આવી હતી.
આ પ્રસંગે આર્યાવર્ત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ વનપંડિત નિલેશ રાજગોર, ચુડેલમાતા કુણઘેરના ટ્રસ્ટી અને લાયન્સ ક્લબ પાટણ ના પૂર્વ પ્રમુખ પર્યાવરણપ્રેમી શ્રીમાન સંજય પટેલ તથા ત્યાં બાજુમાં રહેતા ભગવાનપુરાના બાળકો વગેરે ઉપસ્થિત રહી દરેક જણે વૃક્ષો વાવ્યા હતા.દીકરી ધ્યાની રાજગોર દ્વારા સમગ્ર દેશને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષો વાવી ઉછેરવા અને પર્યાવરણ એવમ પ્રકૃતિની જાળવણી કરવા આહવાન કરાયું હતું.ઉલ્લેખનીય છે કે આ કેશવ પ્રકૃતિ કેન્દ્ર આર્યાવર્ત નિર્માણ દ્વારા ૨૦૧૩ માં વડલી થી ફુલેશિયા વીર રોડ પર શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં અનેકવિધ દેશીકુળના બધા જ વૃક્ષો જે પશુ પક્ષીઓ, જીવ જંતુઓને કામમાં આવે તથા પ્રકૃતિનું સંરક્ષણ એવમ સંવર્ધન કરવામાં આવે તેવા ઉછેરવામાં આવી રહ્યા છે .સમાજ માટે પ્રેરણારૂપ વાત એ હતી કે આજે વાવેલા ૨૫ વૃક્ષો અમેરિકા સ્થિત શ્રીમાન કલ્પેશભાઈ કાંતિલાલ પટેલ દંતાલીવાળા એ પોતાના પરિવારના નામે દત્તક લીધા હતા અને ૨૫ હજારનું દાન સંસ્થાને આપ્યું હતું જેથી સતત પાંચ વર્ષ આ વૃક્ષોની કાળજી લેવાય, જરૂરી સુરક્ષા, ખાતર પાણી વગેરે આપી સફળતાપૂર્વક ઉછેરી શકાય.