અમદાવાદ: સુરતનાં પાંડેસરાના ભેસ્તાન વિસ્તારની ભૈરવનગર સોસાયટી પાસે આદર્શનગર સોસાયટીમાં રહેતી કંચનબહેન નામની પરિણીતાને તેના પતિએ એટલી હેરાન કરી કે તેણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પતિ છેલ્લાં ચારેક વર્ષથી મારઝૂડ કરતો હતો. સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને સસરા પાસેથી ૧પ લાખ રૂપિયા માગતો હતો.
પતિનો શારીિરક-માનસિક ત્રાસ સહન નહીં થતાં પરિણીતાએ સાડીથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પરિણીતાએ લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં લખ્યું છે કે જેઠ વારંવાર શારીરિક શોષણ કરતો હતો. મારા મોતનું કારણ માત્ર જેઠ છે. ઘરમાં એટલી દહેશત હતી કે મારાં બાળકો જ મારાથી ડરતાં હતાં. પતિ તો શંકા કરતો જ હતો પણ મારાં માતા-પિતા પણ મને સમજી ન શક્યાં.
પાંડેસરા પોલીસે મૃતક કંચનબહેનના પિતા વીરેન્દ્ર ગુપ્તાની ફરિયાદ લઈને આરોપી પતિ સતીશ ગુપ્તા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા, માર મારવાની અને દહેજની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.