સુરતઃ 'મમ્મી, મારે હવેથી ટ્યૂશનમાં નથી જવું' આવી વાત 10 વર્ષની પુત્રીએ જ્યારે તેની માતાને કહી ત્યારે માતા પણ ચોંકી ઉઠી. અત્યારના સમયમાં ભણતરની ખૂબ કિંમત વધી છે તેવા સમયે પાંચમા ધોરણની વિદ્યાર્થિની ટ્યૂશનમાં જવાની ના પાડતા માતાએ તેના માથે હાથ ફેરવીને પૂછ્યું બેટા, શા માટે નથી જવું? પુત્રીએ જે જવાબ આપ્યો તેમાંથી ટ્યૂશન શિક્ષકના ગોરખધંધાનો પર્દાફાશ થયો. બન્યું એવું કે આ ટ્યૂશન શિક્ષક પાંચમા ધોરણની વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલાં કરતો હતો. એક નહીં પણ ચાર ચાર વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાંની વિગતો બહાર આવી. આખરે ચારેય વિદ્યાર્થિનીઓના વાલીઓએ જાગૃતિ દાખવી આ ટ્યૂશન શિક્ષક સામે ગુનો નોંધાવવાની હિંમત કરી. ટ્યૂશન શિક્ષકને લઇને વાલીઓએ અમરોલી પોલીસને હવાલે કર્યો હતો.
મોટા વરાછામાં રહેતા 49 વર્ષીય કાંતિ રૈયાણીના કરતૂતોની આ વાત છે. જે પાંચમા ધોરણની વિદ્યાર્થિનીઓને ટ્યૂશન કરાવતો હતો. પાંચ-છ વિદ્યાર્થિનીઓને બે કલાક સુધી ટ્યૂશન કરાવનારા કાંતિએ દસ વર્ષની બાળકીઓને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. અન્ય વિદ્યાર્થિનીઓને લેશનમાં વ્યસ્ત રાખી આ કાંતિ રૈયાણી પોતાની મેલી મૂરાદ પાર પાડતો હતો. ધીમે ધીમે તેણે એક પછી એક એમ કુલ ચાર વિદ્યાર્થિનીઓને અડપલાં કરવાનું શરૂ કર્યું.
પણ, બન્યું એવું કે એક વિદ્યાર્થિનીએ પોતાની માતાને આ ટ્યૂશન શિક્ષક વિશેની વાત કરી ત્યાર પછી એ વિદ્યાર્થિનીના માતા-પિતાએ જાગૃતિ દાખવી પોતાની પુત્રી સાથે ટ્યૂશનમાં આવતી અન્ય વિદ્યાર્થિનીઓના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. જેમાંથી ત્રણ વિદ્યાર્થિનીઓએ ટ્યૂશન શિક્ષક અડપલાં કરતો હોવાની વાત તેના માતા-પિતાને કરી હતી. ત્યાર પછી ચારેય વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ એક લઈ આ ટ્યુશન શિક્ષકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. આ રીતે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
એક વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું કે પહેલા આ શિક્ષકને લઈ ચારેય વાલીઓ કાપોદ્રા પોલીસ મથક પર પહોંચ્યા હતા. જ્યાંથી આ મામલો જે જગ્યાએ બન્યો તે અમરોલી પોલીસ મથકની હદમાં હોવાનું જણાવતા શિક્ષકને લઈ અમરોલી પોલીસ મથક પર પહોંચ્યા હતા. જ્યાં ટ્યૂશન શિક્ષક કાંતિ રૈયાણી સામે ગુનો નોંધાવી તેને પોલીસને હવાલે કર્યો હતો.
એક વાત એ પણ છે કે પોતાની દસ વર્ષની પુત્રી સાથે અડપલાં કરનારા ટ્યૂશન શિક્ષકના આવા ગોરખધંધાથી રોષે ભરાયેલા વાલીઓએ ટ્યૂશન શિક્ષક કાંતિ રૈયાણીને માર માર્યા બાદ પોલીસને સોંપ્યો હતો.