લોકસભાની ચુંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ જીલ્લાની અગ્રણી ભાજપ પ્રેરીત સંસ્થા ધી બનાસકાંઠા જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મેઘરાજભાઈ પટેલ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થતા કાળઝાળ ગરમીમાં સહકારી ક્ષેત્રે ગરમાવો છવાયો છે.
જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૧૭ ડીરેક્ટરો પૈકી ૯ ડીરેક્ટરોએ ગાંધીનગર સચિવને પત્ર લખી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી ચેરમેન ડીરેક્ટરોની જાણ બહાર ઠરાવ બુકમાં ઠરાવો લખી ગેરરીતીઓ આચરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ગાંધીનગર સચિવે મહેસાણા જીલ્લા રજીસ્ટ્રારને અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બેઠક બોલાવવાનો આદેશ કર્યો છે. જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ભાજપ પેનલ સામે ભાજપના જ નારાજ ડીરેક્ટરોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતા કાળઝાળ ગરમીમાં સહકારી ક્ષેત્રે ગરમાવો છવાયો છે. નારાજ ડીરેક્ટરોએ વધુમાં અમોને અંધારામાં રાખી સંસ્થાના-લેણાં અંગે તેમજ પગાર વધારા અને મકાન મરામત, ગાડીનો દુરપયોગ જેવા અન્ય ખર્ચા કરેલ હોવાનું પણ ઉમેર્યું છે.