કડી તાલુકાના ખાવડથી વેકરા વચ્ચે કેનાલ પરથી સપ્તાહ પૂર્વે એક ટ્રક ચાલકને રોકી ઉછીના પૈસાની ઉઘરાણી બાબતે અપહરણ કરી છેક મોરબી ગોંધી રખાયો હતો અને તેના પરિવાર પાસે રૂ. પ૦ હજારની ખંડણી માગી તેની પાસે લુંટ ચલાવી બાબતે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. જે અંગે પોલીસે તપાસ ચલાવેલ છે.
જાણવા મુજબ સુરેન્દ્રનગરના પાટડીના અને હાલ કડીના કલ્યાણપુરા ખાતે રહી ટ્રક ચાલકનો વ્યવસાય કરતા અશોક બચુભાઈ પ્રજાપતિએ વિરમ ગામના હિરાપુરાના હસુભાઈ ગીરધરભાઈ પટેલ, કલ્યાણપુરાના દિલીપ ગોરધનભાઈ પટેલ, તથા અન્ય ત્રીસથી વધુ અજાણ્યા ઈસમો સામે ગત રવિવારે બાવલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવેલ કે આરોપીઓ પાસેથી અશોકભાઈ પ્રજાપતિએ ઉછીના પૈસા લીધેલ હોઈ પૈસાની ઉઘરાણી મામલે ર૮ જુલાઈએ આરોપીઓએ ખાવડથી વેકરા વચ્ચે અશોકભાઈને રોકી ગાળો બોલી કારમાં તેમનું અપહરણ કરી મોરબી લઈ ગયા હતા અને ત્યાં તેમની પાસેથી રૂ. ૭૮૪૦ પડાવી લીધા હતા અને તેમના પરિવારજનો પાસેથી રૂ. પ૦ હજારની ખંડણી માંગી હતી. પોલીસે આ બાબતે તપાસ ચલાવી છે.