આજે ઠાકોર સેનાના સુપ્રિમો અને રાધનપુર વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પર 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસ બાદ હુમલાના બનાવો બન્યા હતા. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતીયો અને ઠાકોર સેના વચ્ચે સદભાવ વધે તેવા ઉદ્દેશ્યથી અલ્પેશ ઉપવાસ કરી રહ્યા છે. પરપ્રાંતીયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારો વધારવાનો પણ અલ્પેશનો પ્રયાસ છે. ગાંધી આશ્રમ ખાતે સમર્થકો સાથે અલ્પેશ ઠાકોરે બાપૂની પ્રતિમાને પ્રણામ કરીને એક દિવસીય સદભાવના ઉપવાસ આરંભ્યા હતા. ગાંધી આશ્રમમાં બાપૂના દર્શન બાદ અલ્પેશ ઠાકોર રાણીપ સ્થિત સદભાવના ઉપવાસ સ્થળે પહોંચીને એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.
સદભાવના ઉપવાસને આજે ગુજરાતમાં એક દિવસ કરીને દેશના દરેક રાજયમાં એક એક દિવસ માટે અલ્પેશ સદભાવના ઉપવાસ કરશે. તે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી સહિતના પરપ્રાંતીય પલાયન કરીને જતાં રહ્યા છે તેવા રાજ્યોમાં પણ ઉપવાસ કરવાનો છે.
ઉપવાસમાં તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિનકુમારને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
હિંમતનગરના ઢુંઢર ગામની એક 14 માસની બાળક પર પરપ્રાંતી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. ગણતરીના દિવસો બાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લામાં રાજ્યના 9 જિલ્લામાં પરપ્રાંતીયોને માર મારવા અને લૂંટી લેવાના બનાવો બન્યા હતા. આમાં સૂકાનાં વાંકે લીલું પણ બળ્યું હોવાનો ઘાટ સર્જાયો હતો અને નિર્દોષો એવા ગરીબ અને મજૂરી કરવા આવેલા પરપ્રાંતીયોને ગુજરાત છોડવાનો વાર આવ્યો હતો. ત્યારે પરપ્રાંતીયોને પાછા લાવવા અને તેમની સાથે સદભાવ કેળવવા અલ્પેશ સદભાવના ઉપવાસ કરી રહ્યા છે.
14 માસની બાળકીને ન્યાય મળે તે માટે અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરવાના હતા. આ સદભાવના ઉપવાસ કરવા માટે તેમણે ગાંધી આશ્રમને પસંદ કર્યો હતો. 8મી ઓક્ટોબર આ ઉપવાસ યોજાવાના હતા. પરંતુ રાજ્યમાં સ્થિતિ બેકાબૂ બની અને રાજ્યના કેટલાક જિલ્લામાં હુમલાના બનાવ બનતાં કોઈપણ જાણ કર્યા વગર અલ્પેશે આ ઉપવાસ નહોતા કર્યા. હવે બાળકીને ન્યાય માટેના સદભાવના ઉપવાસ કેન્સલ કરીને પરપ્રાંતીય અને ઠાકોર સેનામાં સદભાવના જન્મે તેવા પ્રયાસ માટે ઉપવાસ કરે છે.
ઠાકોર અધિકાર આંદોલન માટે ઠાકોર અધિકાર યાત્રાનો એક કાર્યક્રમ અલ્પેશ ઠાકોર યોજવાના હતા. પરંતુ કાર્યકર્તાઓની રજૂઆત અને અગમ્યકારણોસર મુલત્વી રાખ્યો હતો અને તેને 11મી ઓક્ટોબરથી યોજવાની જાહેરાત કરી હતી. હવે આજે 11મી તારીખ થઈ છે ત્યારે ઠાકોર અધિકાર યાત્રા થશે કે નહીં તે સવાલ છે.
ઠાકોર સેનાનું અને અલ્પેશના પર પરપ્રાંતીયો પર હુમલા કરવાનો આરોપ લાગતાં તેમણે રાજનીતિ છોડવાની ચીમકી સુધ્ધા આપી દીધી હતી. પરપ્રાંતીય હુમલામાં પોતાનો કોઈ હાથ ન હોવાનું અને તેમને તથા તેમની ઠાકોર સેનાને ખોટી રીતે બદનામ કરીને રાજનીતિ કરવામાં આવતી હોવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો.