પાલનપુર : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવની ઉજણવી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટ અને ૫ નગરપાલિકા વિસ્તારમાં એમ કુલ-૭૧ સ્થળોએ મહોત્સવ ઉજવાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ થરાદ મુકામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાશે.
આ મહોત્સવની ઉજવણી અંગે પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં કલેકટરે જણાવ્યું કે, આ ઉજવણી અંતર્ગત જે જગ્યાએ કાર્યક્રમો યોજાવા છે તે ગામ કે શહેર ખાતે સવારે ૯ થી ૯.૩૦ વાગ્યા સુધી નદીકાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળ સ્ત્રોતોની સાફ સફાઈ કરાશે અને પ્લારસ્ટીકનો કચરો ઉપાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૧૦ વાગ્યે લોકમાતા મા નર્મદા નીરના વધામણાં શ્રીફળ, ચુંદડી અર્પણ કરી મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવશે. કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનાર સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુ ભરાતા તા. ૧૭ સપ્ટેમ્બરે નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લો પણ મા નર્મદાના નીરથી લીલોછમ્મ અને હરીયાળો બન્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાં યોજાનાર આ ઉત્સવ પ્રસંગે સાંસ્કૃતિ કાર્યક્રમો યોજવા, સાધુ સંતો સામાજિક સેવા સંસ્થાઓના શ્રેષ્ઠીઓ અને નાગરિકો તથા પ્રજાજનોની ભાગીદારીથી ઉમંગ અને ઉલ્લાસથી આ કાર્યક્રમ ઉજવીએ. કલેકટરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લોકોને મેઘલાડું પીરસવા પણ અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.સી.પટેલ, નર્મદા નિગમના અધિકારીઓ સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.