પાલનપુર : સુરતની ઘટના બાદ રાજ્યાભરના ફાયર સેફ્ટીને ધ્યાને લઈ બનાસકાંઠાના ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા છે. જેથી પાલનપુરમાં એક ક્લાસીસના સંચાલક દ્વારા છાત્રોનો અભ્યાસ ન બગડે તે હેતુથી કલેક્ટર કચેરીના બગીચામાં ક્લાસીસ શરૂ કરાયા હતા.
સુરતમાં તાજેતરમાં એક બહુમાળી બિલ્ડીંગના ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. જેના રાજ્ય ભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેથી વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને ધ્યાને લઈ રાજ્યમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસોને બંધ કરવાની સુચના આપી બંધ કરાવવામાં આવ્યા છે. જેની અસર બનાસકાંઠામાં પણ પડી હતી અને બનાસકાંઠામાં વહીવટી તંત્ર દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા હતા. જેથી ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા પોતાના ક્લાસીસ માટે ફાયર સેફ્ટીના સાધનો વસાવી તે કેવીરીતે ઓપરેટ કરવા તે અંગેનું જ્ઞાન મેળવી ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવા માટે વહીવટી તંત્રને રજુઆત કરવામાં આવી હતી.પરંતુ તંત્ર દ્વારા જ્યાં સુધી ઉચ્ચ કક્ષાએથી સુચના ન આવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા સંચાલકોને જણાવવામાં આવ્યુ હતુ.
જેથી પાલનપુરના પરિવાર ટ્યુશન ક્લાસીસના સંચાલક રવિ સોની દ્વારા ફેસબુકના માધ્યમથી પોતાના વિદ્યાર્થી ઓને અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને નેટની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે વિધ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં મુસ્કેલી પડતી હતી.જેથી આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોવાથી તેને ધ્યાને લઈ પાલનપુર જ્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા ક્લાસીસ ચાલુ કરવાની મંજુરી ન મળે ત્યાં સુધી પાલનપુરની કલેક્ટર કચેરીમાં ક્લાસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેથી ગુરૂવારે કલેકટર કચેરીના બગીચામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી અભ્યાસ કર્યો હતો.આ અંગે ટ્યુશન ક્લાસીસના સંચાલકે જણાવ્યુ હતુ. કે અત્યારે તો અમે કલેક્ટર કચેરીના બગીચામાં ક્લાસીસ શરૂ કર્યા છે.પરંતુ તેમ છતા આગામી દિવસોમાં અમને ક્લાસીસ ચાલુ કરવાની મંજુરી નહી મળે તો આગામી દિવસોમાં જુરૂર પડે તો ઉપવાસ ઉપર બેસવું પડશે તો પણ અચકાઈશુ નહી.