પાલનપુરના રામલીલા મેદાનમાં શ્રમજીવીઓ ઝુંપડા બનાવી વસવાટ કરે છે. જે ઝુપડપટ્ટીમાં અચાનક આગ લાગતા ગરીબ પરિવારોના ત્રણ છાપરા આગમાં સ્વાહા થઇ ગયા હતા. જોકે, ફાયર ફાઇટર મોડુ આવતા ઝૂંપડામાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઇ જતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. પાલનપુરના રામલીલા મેદાનમાં છૂટક મજૂરી કરી પેટિયું રળતા શ્રમજીવીઓની વસાહત આવેલી છે. જે ઝુંપડપટ્ટીમાં બપોરના સુમારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
આગના આ બનાવમાં ગરીબ પરિવારના ત્રણ છાપરા આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા બળીને ખાખ થઇ ગયા હતા. જો કે, આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ ફાયર ફાઇટર મોડું પડતા લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
જોકે, ફાયર ફાઇટરે આવીને આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં મોડું થઇ જતા ત્રણ છાપરામાં રહેલ ચીજવસ્તુ ઘરવખરી અને બાળકોના અભ્યાસના ચોપડા- પુસ્તકો બળીને ખાખ થઇ ગયા હતા.
આમ, અચાનક આગ લાગતા શહેરમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ત્રણ ગરીબ પરિવારો બેઘર બની ગયા હતા. જોકે, આગ લાગી તે સમયે પરીવારના સભ્યો ધંધા મજુરી અર્થે બહાર ગયા હોઈ નાના બાળકો સિવાય કોઈ હાજર ન હોઈ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.