ગુજરાતમાં ચૂંટણી પંચે સાત વિધાનસભાઓની પેટાચૂંટણી આગામી 21 ઓક્ટોમ્બરના રોજ યોજવાની જાહેરાત કરી છે. ત્યારે બનાસકાંઠાની મહત્વની ગણાતી થરાદ વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોથી બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પહેલા ચરણમાં ચાર વિધાનસભાની સીટોની ચૂંટણીઓની તારીખ જાહેર થયા બાદ થરાદની બેઠક મુદ્દે સાંસદ પરબત પટેલે મોટું નિવેદન આપ્યું હતું.
થરાદની બેઠક મુદ્દે સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક ઉમેદવારને થરાદની બેઠક પર મહત્વ અપાવમાં આવશે. થરાદ બેઠક મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા પરબત પટેલે મોટું નિવેદન આપ્યું છે.
થરાદ બેઠક પર ચાર વખત આ સીટ પર જીત મેળવી ઇતિહાસ રચનાર પરબતભાઇ પટેલે સંદેશ ન્યૂઝ સાથેની વાતમાં સાત સીટો પર સ્વપ્નદ્રષ્ટા પીએમ નરેન્દ્રભાઇ મોદી અને ગ્રુહમંત્રી અમિતશાહના કુશળ નેત્રુત્વથી પુનઃ કમલ ખીલશે તેવો આશાવાદ સેવ્યો હતો.
તેઓએ આ પેટાચૂંટણીમાં મતદારોએ સ્થાનિક ઉમેદવારની માંગ કરી હોવાનો સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો. જોકે તેઓએ એવું પણ જણાવ્યું હતું કે, અંતે ટિકિટ લગતો નિર્ણય હાઇકમાન્ડ કરશે.. રાજકીય નિરીક્ષકોનું માનીએ તો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાનીં વાત ઉઠી હોવાનું સ્વીકારી સાંસદ પરબતભાઇ પટેલે સત્તાથી વિમુખ રહેલા અને થરાદ પેટાચૂંટણીમાં ટિકિટ મેળવી પુનઃ જીત મેળવવા મથામણ કરી રહેલા પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીનીં મુશ્કેલીઓ વધારી છે.