પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે યોજાનાર ભારદવી પૂનમના મહામેળા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર-૨૦૧૯ દરમ્યાન યોજાનાર આ મહામેળામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૧૦૦ એસ. ટી. બસો મુકવામાં આવશે તેમ નિગમના જનરલ મેનેજર (ઓપરેશન) નિખિલ બર્વેએ અંબાજી ખાતે એસ.ટી. બસોના આયોજન અંગેની બેઠકમાં જણાવ્યું હતું. બર્વેના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે
યોજાયેલ બેઠકમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગના વિભાગીય નિયામકશ્રીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કરાયેલ આયોજનની સમીક્ષા અને ચર્ચા વિચારણ કરી જનરલ મેનેજર(ઓપરેશન) શ્રી નિખિલ બર્વે અને સીટીસીએમ શ્રી એન. એસ. પટેલે ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગો દ્વારા યાત્રિકોની સુવિધા માટે પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષે એસ. ટી. નિગમે દૈનિક શિડ્યુલ સંચાલન ઉપરાંત વધારાની ૧૦૦૦ બસો દ્વારા ૧૨,૫૦,૨૬૬ મુસાફરોને સુવિધા પુરી પાડી હતી.