પાલનપુર ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને અછતની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
બનાસકાંઠા જિલ્લામાં લોકોને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે કાળજીપૂર્વક કામગીરી કરીએ તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારે પાલનપુર ખાતે યોજાયેલ અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બેઠકમાં અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ, ઘાસચારાની વ્યાવસ્થા, મનરેગા હેઠળ ચાલતા કામો અને સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન હેઠળ ચાલતા કામો વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ અધિકારીઓને જણાવ્યું કે અછતની સ્થિર અને ગરમીના આ સમયમાં કોઇને પીવાના પાણીની તથા પશુઓને ઘાસચારાની કોઇ જ તકલીફ ન પડે તે માટે સક્રિય અને પરિણામદાયી કામગીરી કરી ઉત્કૃષ્ઠ ફરજની સાથે પ્રેરણાદાયી સમાજસેવા પણ કરીએ. મંત્રીએ કહ્યું કે લોકોની જરૂરીયાતો, રજુઆતો અને સુચનો પ્રત્યે પણ પુરતુ ધ્યાન આપી તેનું હકારાત્મક અને ઝડપી નિરાકરણ લાવીએ.
પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું્ કે બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ, અછત અને મનરેગા હેઠળ ચાલતા કામો અને સુજલામ-સુફલામ જળ સંચય યોજનાના કામોની સમીક્ષા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જિલ્લામાં ૫૭ જેટલાં ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે અને જરૂરીયાત મુજબ ટેન્કરોની સંખ્યા વધારવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પશુઓને પુરતા પ્રમાણમાં પાણી અને ઘાસચારો મળી રહે તેની પણ રાજય સરકાર દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં અછતની સ્થિતિને અનુલક્ષી તા. ૮ ઓક્ટોબર-૨૦૧૮થી આયોજન કરી તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મુક્તેશ્વર અને ધરોઇ ડેમમાં આગામી બે વર્ષ સુધી ચાલે તેટલું પીવાનું પાણી છે અને દાંતીવાડા અને સીપુ ડેમમાં એક વર્ષ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો સ્ટોક છે. તેમણે કહ્યું કે અછતગ્રસ્તે વિસ્તારના લોકોને જરૂરી તમામ સહાય આપવા રાજય સરકાર સક્રિય અને સંકલ્પબધ્ધ છે. મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ક્રૃષિ ઇનપુટ સહાય આપવામાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમસ્થાને છે તે બદલ જિલ્લાના અધિકારીઓને અભિનંદન પાઠવું છું. બેઠકમાં કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.